![]()
Shubhendu Adhikari to Become Bengal’s New CM : પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ પરથી સસ્પેન્સ સમાપ્ત થયું છે. મમતા બેનર્જીને ભવાનીપુર બેઠક પરથી 15000થી વધુ મતોથી પરાજય આપનાર શુભેન્દુ અધિકારી બંગાળના આગામી મુખ્યમંત્રી બનશે. આજે કોલકાતામાં ભાજપના ધારાસભ્ય દળની મહત્ત્વની બેઠકમાં તેમના નામ પર અંતિમ મહોર લાગી હતી.
આવતીકાલે એટલે કે 9 મેના રોજ રવીન્દ્ર જયંતીના પવિત્ર અવસરે શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના શપથ લેશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહ યોજાશે.
અમિત શાહનું કોલકાતામાં આગમન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચ્યા હતા. ઍરપૉર્ટ પર શુભેન્દુ અધિકારીએ તેમનું સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓએ એક જ ગાડીમાં હોટલ સુધીનો પ્રવાસ કર્યો હતો.
હિન્દુ હૃદય સમ્રાટ અને સોનાર બાંગ્લાની આશા
ભાજપના સાંસદ જ્યોતિર્મય સિંહ મહતોએ દાવો કર્યો છે કે બંગાળના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ‘હિન્દુ હૃદય સમ્રાટ’ મુખ્યમંત્રી બનશે. તેમણે ઉમેર્યું કે હવે બંગાળની જનતાને આઝાદી મળશે અને રાજ્યમાં નવો સૂર્યોદય થશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર. એન. રવિએ 7 મેના રોજ વિધાનસભા ભંગ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને નવી સરકારના સ્વાગત માટે વિધાનસભા ભવનમાં રંગરોગાનની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે.










