![]()
IIT Gandhinagar Study: આઈઆઈટી ગાંધીનગરના અધ્યાપક અને રિસર્ચ સ્કોલર્સની ટીમ દ્વારા ગુજરાતના અમદાવાદ સહિતના દેશના 138 શહેરોના તાપમાન અને ગ્રીનકવર (હરિયાળી વિસ્તાર)ના છેલ્લા 17 વર્ષના ડેટા પર સંશોધન કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટના તારણો મુજબ આડેધડ થતા વૃક્ષારોપણ કે માત્ર ટાર્ગેટ આધારીત વૃક્ષારોપણના આંકડા વધારવાને બદલે શહેરોમાં અર્બનાઈઝેશન-ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તાપમાન અને સ્થળની જરૂરીયાતને અનુરૂપ વૃક્ષારોપણ-ગ્રીનકવર થવું જોઈએ.
અર્બન ગ્રીનિંગ પર વિશેષ રિસર્ચ
આઈઆઈટી ગાંધીનગરના અર્થસાયન્સ અને સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અધ્યાપક ઉદિત ભાટીયાના વડપણ હેઠળ ઈન્સ્ટિટ્યુટના રિસર્ચ ગ્રેજ્યુએટ તેમજ પીએચડી સ્કોલર્સ પોસ્ટ ડોક્ટરરલ રિસર્ચરની ટીમ દ્વારા અર્બન ગ્રીનિંગ એટલે કે શહેરી હરિયાળી વિસ્તાર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે નેચર કમ્યુનિકેશન જર્નલમાં પણ પબ્લિશ થયું હતું.
દેશના 138 શહેરોનું વિસ્તૃત રિસર્ચ
આ રિસર્ચ સ્ટડીમાં ભારતના 138 શહેરોનું એનાલિસીસ કરવામાં આવ્યું છે. આ 138 શહેરોમાં અમદાવાદ તેમજ ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીધામ અને જુનાગઢનો પણ સમાવેશ થાય છે. રીસર્ચના તારણો મુજબ અમદાવાદ ગરમ અર્ધશુષ્ક વાતાવરણ ધરાવે છે અને અહીં હવામાં તાપમાનનું પ્રમાણ વધારે હોવા સાથે ગરમ હવા ફૂંકાય છે. જ્યારે મુંબઈ સહિતના દરિયાઈકાંઠાના શહેરોની હવા ભેજ સાથે અલગ તાપમાન-વાતાવરણ ધરાવે છે.
પર્યાવરણને અનુરૂપ ‘સ્માર્ટ ગ્રીનિંગ’ની જરૂર
અમદાવાદમાં વાતાવરણ અને પર્યાવરણને અનુરૂપ સ્માર્ટ ગ્રીનિંગની અત્યંત જરૂર છે. શહેરમાં માત્ર આડેધડ ગ્રીનકવર કે વૃક્ષારોપણ વધારીને આંકડો મોટો કરવાને બદલે, ચોક્કસ હોટસ્પોટ એટલે કે ગરમ સ્થળ ધરાવતા વિસ્તારો અને પોકેટ્સ નક્કી કરીને જ વૃક્ષારોપણ થવું જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 કિ.મી. હીટ ઈન્ડેક્સ મેપ્સના આધારે હીટ પ્લાનિંગ કરવું જરૂરી છે. સંશોધકોના મતે માત્ર વૃક્ષો વાવવા એટલું જ પૂરતું નથી, પરંતુ અમદાવાદ સહિત વધુ હીટ ધરાવતા શહેરોમાં મહત્તમ ઠંડક વધારવા માટે આબોહવાને અનુરૂપ, વિસ્તારની જરૂરિયાત, શહેરી ગીચતા અને વેન્ટિલેશન સહિતના માપદંડો મુજબ ગ્રીનકવર વધારવું પડશે. આ માટે ખાસ કરીને શાળાઓ, આરોગ્ય કેન્દ્રો તેમજ બસ સ્ટેન્ડની આસપાસ વધુ વૃક્ષો વાવવા જોઈએ.










