Jamnagar : જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસચારાનું વેચાણ કરવામાં આવે છે, અને વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોને જાહેરમાં ઢોરવાડો બનાવી દેવામાં આવે છે. તેમાંથી નગરજનોને મુક્તિ મળે તે માટેની જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે.
ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે શહેરમાં ઘાસનો જથ્થો ઘુસાડનારાઓ ઉપર આજે તવાઈ બોલાવવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ દબાણ હટાવ અધિકારી અનવર ગજ્જણ તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેઓની અલગ-અલગ ત્રણ ટીમ દ્વારા શહેરના કાલાવડ નાકા બહાર, મયુરનગર, ગુલાબનગર વગેરે અલગ અલગ વિસ્તારમાં ત્રણ ટુકડીને વહેલી સવારે 6.00 વાગ્યામાં જ દોડતી કરાવી દેવામાં આવી હતી, અને ઘાસનો જથ્થો લઈને ઘુસનારા વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.
રીક્ષા છકડા, ટ્રેકટર, બોલેરો પીકઅપ વેન સહિત અલગ-અલગ 10 વાહનોમાં અંદાજે 10 ટન જેટલો ઘાસનો જથ્થો જામનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો, તે તમામ વાહનોને અટકાવીને 10 ટન જેટલો ઘાસનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં પશુઓના ખોરાક માટે મોકલી દેવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ વાહન ચાલકોને અંતિમ ચેતવણી આપી દેવામાં આવી છે, અને ફરીથી શહેરની અંદર ઘાસચારાનો જથ્થો લઈને આવશે, તો તેઓના વાહન જપ્ત કરી લેવામાં આવશે, તેવી પણ ચેતવણી આપી દેવાઇ છે. વહેલી સવારમાં જ મહાનગરપાલિકાના તંત્રની આ કાર્યવાહીને લઈને શહેરી વિસ્તારમાં ઘાસચારાનું વેચાણ કરતાં તત્વોમાં ફફડાટ મચી ગયો છે.