Rahul Gandhi Dual Citizenship: અલાહાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મુદ્દે દાખલ અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે આ અરજી પર અરજદાર એસ. વિગ્નેશ શિશિરને અન્ય કાયદાકીય વૈકલ્પિક માર્ગ અપનાવવાની છૂટ આપી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દસ દિવસની અંદર ફરિયાદનું નિરાકરણ લાવવા આદેશ આપ્યો હતો. પરંતુ સરકારે કોઈ જવાબ કે ચોક્કસ સમય મર્યાદા ન જણાવતાં અરજી રદ કરી છે. પાછલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો.
જસ્ટિસ એઆર મસૂદી તથા જસ્ટિસ રાજીવ સિંહની બેન્ચે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અરજદારની ફરિયાદના નિરાકરણ માટે કોઈ સમય મર્યાદા આપી શકી નથી, તેથી આ અરજીને પેન્ડિંગ રાખવાનું કોઈ વાજબી કારણ નથી. કોર્ટે અરજદારને કહ્યું કે તે અન્ય વૈકલ્પિક કાનૂની ઉપાયો અપનાવવા માટે સ્વતંત્ર છે.
આ પણ વાંચોઃ આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
શું હતો મામલો?
આ અરજી કર્ણાટકના એસ વિગ્નેશ શિશિરે દાખલ કરી હતી. આ કેસમાં અરજદાર વતી દલીલ કરવામાં આવી હતી કે તેમની પાસે બ્રિટિશ સરકારના ઘણા દસ્તાવેજો અને કેટલાક ઇમેઇલ્સ છે જે દર્શાવે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. જેથી તેઓ ભારતમાં ચૂંટણી લડવાના હકદાર નથી અને તેઓ લોકસભા સભ્ય પદ સંભાળી શકતા નથી. અરજદારે રાહુલ ગાંધીના સાંસદ તરીકે કામગીરી કરવા સામે રિટ ઓફ ક્યુ વોરંટ જારી કરવાની પણ માંગ કરી હતી. આ સાથે, રાહુલ ગાંધીના બેવડા નાગરિકત્વને BNS (ભારતીય ન્યાય સંહિતા) અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ ગુનો ગણાવી CBIને કેસ નોંધી તપાસ કરવાનો આદેશ આપવાની માંગ પણ કરવામાં આવી હતી.
હાઈકોર્ટના આ નિર્ણય પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા દીપકસિંહે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ અરજી રદ થવી એ ભાજપના લોકો માટે બોધપાઠ સમાન છે. રાહુલ ગાંધીને હેરાન કરવા માટે તેમની નાગરિકતાને પડકારી અરજી કરવામાં આવી હતી. જેને અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ફગાવી દીધી છે.