![]()
રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ, પુના સુધી ઉઘરાણા! : વેપારીને શોધી નાણાં પરત અપાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સુપર માર્કેટના વેપારીઓની SP રજૂઆત
જામનગર, : જામનગરના સુપરમાર્કેટ વિસ્તારમાં કાપડના વેપાર સાથે સંકળાયેલા એક વેપારી આશરે૨૫ કરોડથી વધુનું ફુલેકું ફેરવી ફરાર થઈ જતાં અનેક વેપારીઓના નાણાં અટવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આજે સુપરમાર્કેટના વેપારીઓ એકત્ર થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી વેપારીને શોધી નાણાં પરત અપાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મળતી માહિતી મુજબ જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને સુપરમાર્કેટમાં દીપાલી એન્ટરપ્રાઇઝ નામથી રેડીમેઈડ કાપડની દુકાન તેમજ અન્ય વેપારી ધંધાઓ સાથે સંકળાયેલા હિતેશ લક્ષ્મીકાંતભાઈ ગોહિલ અચાનક પત્ની અને બાળક સાથે ગાયબ થઈ ગયા છે. અંદાજે રૂપિયા ૨૫ કરોડથી વધુની રકમનું ફૂલેકું ફેરવી વેપારી ફરાર થઈ ગયો હોવાની આશંકા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ જામનગરના સુપરમાર્કેટના પચીસથી વધુ વેપારીઓ ઉપરાંત શહેરના અન્ય વેપારીઓના પણ નાણાં અટવાયા છે. ઉપરાંત રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત તેમજ મુંબઈ અને પુના સુધી વ્યપારિક જાળ ફેલાવી મોટી રકમ એકત્ર કરાઈ હોવાની ચર્ચા વેપારી વર્તુળોમાં ચાલી રહી છે.
આજે સુપરમાર્કેટના પચ્ચીસથી વધુ વેપારીઓ એકત્ર થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી વેપારીને શોધી નાણાં પરત અપાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.








