![]()
Kakoli Ghosh Dastidar Resigns TMC: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનરજી માટે એક ખૂબ જ મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર તરફથી ‘Y’ કેટેગરીની સુરક્ષા મેળવનારા વરિષ્ઠ નેતા અને સાંસદ ડૉ. કાકોલી ઘોષ દસ્તીદારે પક્ષના મહત્વના પદ પરથી રાજીનામું ધરી દીધું છે, જેના કારણે બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ટીએમસી પક્ષમાં મોટી ઉથલપાથલ
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ અને ઉથલપાથલ ચરમસીમાએ પહોંચી ગઈ છે. મમતા બેનરજીના અત્યંત નજીકના અને વફાદાર ગણાતા વરિષ્ઠ મહિલા સાંસદ ડૉ. કાકોલી ઘોષ દસ્તીદારે બારાસાત સંસદીય જિલ્લાના AITC (TMC) જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. ખાસ વાત એ છે કે, આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તેમની સુરક્ષા વધારીને ‘Y’ કેટેગરીની કરી દીધી હતી. જેના કારણે તેમનો ઝૂકાવ ભાજપ તરફી થઇ રહ્યાની અટકળો પણ તેજ થઈ છે.
લોકસભામાં ચીફ વ્હીપ પદ પરથી હટાવવા બદલ હતા નારાજ
રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, ડૉ. કાકોલી ઘોષ છેલ્લા કેટલાક સમયથી પક્ષના નિર્ણયોથી નારાજ હતા. અગાઉ તૃણમૂલ કોંગ્રેસે તેમને લોકસભામાં ચીફ વ્હીપના પદ પરથી હટાવી દીધા હતા અને આ જવાબદારી ફરીથી કલ્યાણ બેનરજીને સોંપી દીધી હતી. આ નિર્ણયથી કાકોલી ઘોષ ભારે નારાજ હતા અને ત્યારબાદ જ કેન્દ્ર સરકારે તેમને ‘Y’ કેટેગરીની વીઆઈપી સુરક્ષા પૂરી પાડી હતી. હવે તેમનું રાજીનામું મમતા બેનરજી માટે નવી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
આ પણ વાંચો : IPL-2026 પ્લેઓફનું ચિત્ર સાફ : રાજસ્થાન ચોથી ટીમ બની, મુંબઈ હારતા વધુ બે ટીમો બહાર
રાજીનામાના પત્રમાં ભ્રષ્ટાચાર અને ગુનાખોરીનો ઉલ્લેખ
ડૉ. કાકોલી ઘોષે પક્ષને સોંપેલા પોતાના રાજીનામાના પત્રમાં પશ્ચિમ બંગાળની વર્તમાન સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, તાજેતરના દિવસોમાં પશ્ચિમ બંગાળમાં અપરાધ અને ભ્રષ્ટાચારના વધતા જતા કેસોને કારણે જનતાના મનમાં ભારે ભય અને અસુરક્ષાનો માહોલ પેદા થઈ ગયો છે. લોકશાહીને મજબૂત કરવા માટે રાજકારણમાં સ્વચ્છતા, જવાબદારી, નૈતિકતા, શિષ્ટાચાર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા ખૂબ જ જરૂરી છે. સમાજમાં વિશ્વાસ અને સ્વસ્થ રાજકીય સંસ્કૃતિ માત્ર આદર્શવાદ અને પ્રામાણિક રાજકારણથી જ મજબૂત થઈ શકે છે.
ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી, મમતાને આપી સલાહ
રાજીનામા પાછળ તાજેતરની વિધાનસભા ચૂંટણીના નબળા પરિણામોને પણ મુખ્ય કારણ ગણાવ્યું છે. કાકોલી ઘોષે કહ્યું કે, ચૂંટણીના પરિણામો આશા મુજબના આવ્યા નથી. આ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને હું બારાસાત જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. પત્રના અંતે તેમણે પક્ષના સુપ્રીમો મમતા બેનરજીને અપીલ કરતા લખ્યું કે, “જો તમે પહેલાની જેમ જ ઈમાનદાર, વફાદાર અને પક્ષના જૂના કાર્યકરો સાથે મળીને કામ કરશો, તો જ પક્ષની ઈમેજ ફરીથી ચમકી શકશે.” તેમની આ લાઈન દર્શાવે છે કે પક્ષમાં હાલમાં જૂના અને વફાદાર કાર્યકરોની ઉપેક્ષા થઈ રહી છે.








