![]()
પડધરી પંથકમાં 4 દિવસ પહેલાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી
આરોપીઓને અમીરગઢ બોર્ડરેથી ઝડપી રાજકોટ લવાયા, બે વર્ષ કરતા વધુ સમય સુધી વોન્ટેડ રહી હત્યા નીપજાવી હતી
રાજકોટ: પડધરી પંથકમાં તરૂણી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેના સંબંધી યુવરાજસિંહની હત્યા કરી ફરાર બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૩૫) અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા (ઉ.વ.૨૨) (રહે. બંને ખાખડાબેલા, તા.પડધરી)ને રાજકોટ રૂરલ પોલીસની ટીમે અમીરગઢ બોર્ડર પરથી ઝડપી લઇ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.
પડધરી પોલીસમાં ગઇ તા.૪-૪-૨૦૨૪ના રોજ તરૂણી ઉપર દુષ્કર્મની પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં પોલીસે આરોપી અજયસિંહ રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તપાસના અંતે તેને જેલહવાલે કર્યો હતો. આ કેસમાં મહેન્દ્રસિંહ અને યશપાલસિંહના નામ પણ આરોપી તરીકે હતા. આમ છતાં બંને આરોપીઓને પોલીસ પકડી શકી ન હતી. જેને કારણે બે વર્ષ કરતાં વધું સમય સુધી વોન્ટેડ રહ્યા હતા.
બંને આરોપીઓને પોતાની વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સોના કેસને લઇને હત્યાનો ભોગ બનનાર યુવરાજસિંહ કે જે ભોગ બનનાર તરૂણીના સંબંધી હતા, તેની સાથે તકરાર ચાલતી હતી. જેને કારણે બંને આરોપીઓએ ગઇ તા.૨૦ના રોજ પુર્વયોજિત કાવતરાના ભાગરૂપે યુવરાજસિંહની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.
બંને આરોપીઓ દુષ્કર્મ અને પોક્સોના કેસમાં બે-બે વર્ષ કરતા વધુ સમયથી વોન્ટેડ હોવા છતાં હત્યા નીપજાવી ભાગી જતાં પોલીસની આબરૂના ધજાગરા થયા હતા. પોલીસે દાખવેલી ગંભીર બેદરકારીને કારણે યુવરાજસિંહની હત્યા થયાનું તારણ નીકળ્યું હતું. જેને ધ્યાને લઇ રાજકોટ રેન્જના ડીઆઇજી નિર્લિપ્ત રાયે બંને આરોપીઓને નહી પકડી ફરજમાં બેદરકારી દાખવનાર પડધરીના તત્કાલિન પીઆઇ એસ.એન.પરમાર, પીઆઇ એચ.એન.રાઠોડ, પીએસઆઇ જે.જે.વાળા અને એએસઆઇ ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી દીધા હતા.
એટલું જ નહીં એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવા માટે ટીમની રચના કરી હતી. જેમાં એલસીબી, સાયબર સેલ, પડધરી પોલીસના 100 જેટલા અધિકારીઓ અને માણસોને કામે લગાડયા હતા. આખરે બંને આરોપીઓ અમીરગઢ બોર્ડર પરથી ઝડપાઇ જતાં પડધરી પોલીસને સોંપી દેવાયા છે. એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
– ચર્ચાસ્પદ કેસમાં બે પીઆઇ, એક પીએસઆઇ અને એક એએસઆઇને ફરજમાં બેદરકારી ગણી અગાઉ સસ્પેન્ડ કરાયા હતા
– આરોપી મહેન્દ્રસિંહને 80થી વધુ નંબર યાદ હતા : બીજાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી પરિચિતો પાસે પૈસા પણ મંગાવતો
– કચ્છ, રાજસ્થાન અને મનાલીની હોટલમાં કુક તરીકે કામ કરતાં
રાજકોટ: દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બે-બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યા હતા. પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે, આ સમય દરમિયાન બંને આરોપીઓ મુખ્યત્વે ગાંધીધામ, રાજસ્થાન અને મનાલીમાં રહ્યા હતા. આ તમામ સ્થળે આવેલી હોટલોમાં આરોપી મહેન્દ્રસિંહ પોતાની કુક તરીકે ઓળખ આપી કામે રહી જતો હતો. બીજા આરોપી યશપાલસિંહને પોતાના હેલ્પર તરીકે સાથે રાખતો હતો. આમ તો બંને આરોપીઓ ખેતી કરે છે. દુષ્કર્મ અને પોક્સોનો કેસ નોંધાયા બાદ આરોપી મહેન્દ્રસિંહે રસોઇ કરવાનું શીખી લીધું હતું. જેને કારણે તે જુદી-જુદી હોટલોમાં કુક તરીકે કામે રહી જતો હતો.
પોલીસથી બચવા માટે બંને આરોપીઓ મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કરતા ન હતા. આરોપી મહેન્દ્રસિંહને ૮૦થી વધુ નંબર યાદ હતા. જેથી બીજા કોઇના મોબાઇલનો ઉપયોગ કરી જેની સાથે વાત કરવી હોય તેનો વોટ્સ્એપ કોલ પર સંપર્ક કરતો હતો. આ રીતે તેણે કેટલાક પરીચીતો પાસેથી અમુક રકમ પણ મંગાવી હતી. જેના મોબાઇલનો ઉપયોગ કરતો તેના નંબર પર ઓનલાઇન પૈસા મંગાવી બદલામાં તેને થોડું કમિશન પણ આપી દેતો હતો. બસમાં આઇડીની માંગણી થતી ન હોવાથી બંને આરોપીઓ મોટાભાગે બસમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા.
– હત્યા પાછળ સમાધાન નહીં કરવાનું કારણ કે બીજું કંઇ ?
રાજકોટ: આરોપી મહેન્દ્રસિંહનો ભાઇ અજયસિંહ દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં બે વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે. તેને હજુ જામીન મળ્યાં નથી. જેને લઇને તે પીડીતાના સંબંધી યુવરાજસિંહ ઉપર રોષે ભરાયેલો હતો. યુવરાજસિંહ સમાધાનનો ઇન્કાર કરતા હોવાથી તેની હત્યા કર્યાની વાતો વહેતી થઇ છે. પરંતુ તેમાં કેટલું તથ્ય છે તે પોલીસ ચકાસી રહી છે. બંને આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ પછી જ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.










