![]()
DeodarTaluka Panchayat High Voltage Drama: વાવ-થરાદ વિસ્તારના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ સભાખંડમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ભાજપના બે સદસ્યો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ચૂંટણી અધિકારીએ સભા સ્થગિત કર્યા બાદ ચૂંટણી રદ જાહેર કરતાં કોંગ્રેસના સદસ્યો અને સમર્થકો રોષે ભરાયા હતા. પંચાયત કચેરી બહાર ચૂંટણી અધિકારીનો ઘેરાવ કરી દેખાવો કરાતાં મામલો વધુ ગરમાયો હતો.
ચૂંટણી હવે આગામી 27 તારીખ પર ઠેલાઈ
પરિસ્થિતિને થાળે પાડવા માટે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના સદસ્યો અંદરોઅંદર બાખડી પડતાં માત્ર 20 મિનિટમાં જ સભા સંકેલી લેવી પડી હતી. જો કે, સભાખંડમાંથી તાલુકા પંચાયતના ભાજપના 10 સદસ્યો નીકળી જતાં કોંગ્રેસના 12 સદસ્યો અને કાર્યકરોએ જવાબદાર અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના આંતરિક વિખવાદને કારણે ચૂંટણી હવે આગામી 27 તારીખ પર ઠેલાઈ છે, જેને પગલે દિયોદરમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે!
તાલુકા પંચાયત કચેરી બહાર લોકોએ ચૂંટણી અધિકારીને ઘેર્યા, પોલીસે મામલો શાંત પાડ્યો
તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી રદ કર્યાની જાહેરાત કર્યા બાદ ચૂંટણી અધિકારી ડી. એન. કાછડ પંચાયત બહાર નીકળ્યા હતા. જ્યાં રોષે ભરાયેલા લોકોએ ચૂંટણી અધિકારીની ગાડીની હવા કાઢી નાખી હતી અને તેમને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે પોલીસે ટોળાને વિખેરીને ચૂંટણી અધિકારીને પરત પંચાયત કચેરીમાં લઈ જવાની ફરજ પડી હતી.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખના ચૂંટણી અધિકારી પર મોટા આક્ષેપ
દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના આ સમગ્ર મામલે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ચૂંટણી અધિકારી પર ધારદાર કટાક્ષ કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીનું કોરમ પૂરું થઈ ગયું હોવા છતાં આ રીતે ચૂંટણી કેન્સલ ન કરી શકાય અને ચૂંટણી પ્રક્રિયામાં હોબાળો કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અધિકારીના ફોન પર વારંવાર આવી રહેલા ફોન શંકાની સોય તરફ ઈશારો કરે છે. ભાજપના સભ્યોએ બહુમતી ન હોવાને કારણે જાણીજોઈને અંદરોઅંદર ઝઘડવાનું નાટક કર્યું છે અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી છે. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તાના જોરે આ પ્રકારનું નાટક ભજવવામાં આવ્યું છે, જે સમગ્ર ઘટના લોકશાહીની હત્યા સમાન છે.
કોંગ્રેસે કચેરી બહાર ધરણા કર્યા, ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવાની આપી ચીમકી
તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતાં કોંગ્રેસે તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી હતી. આ મામલો વધુ ઉગ્ર બનતાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, દિયોદરના ધારાસભ્ય શિવા ભુરીયા, રાજવી ગિરિરાજસિંહ વાઘેલા અને ભરતસિંહ વાઘેલા સહિતના અગ્રણી આગેવાનો દિયોદર તાલુકા પંચાયત ખાતે દોડી આવ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે દિયોદર તાલુકા પંચાયત કચેરી બહાર જ ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી હતી.
આ પણ વાંચો: ચાલુ વર્ષ 10 થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી
સમગ્ર જિલ્લામાંથી પોલીસનો કાફલો ખડકાયો, મોડી સાંજ સુધી કાર્યકરો કચેરીમાં બેસી રહ્યા
દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણીને લઈ મામલો ઉગ્ર બન્યા બાદ સમગ્ર જિલ્લામાંથી પોલીસનો ચુસ્ત કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારીને ત્યાથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો અને કાર્યકરો મોડી સાંજ સુધી તાલુકા પંચાયત કચેરીમાં જ બેસી રહ્યા હતા અને તંત્રની મિલીભગત સામે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.










