![]()
– રોકાણ કરનારાને 36 ટકાનો નફો આપવાનો વાયદો કરીને છેતરપિંડી
– કૌભાંડની માસ્ટર માઈન્ડ નૌહેરા શેખે શરૂઆતમાં રોકાણકારોને માતબર વળતર આપ્યું ને પછી 1.7 લાખ લોકોને ચુનો લગાડયો
– પોલીસે ધરપકડ કરીને 12 લક્ઝરિયસ કાર અને 92 હજારની રોકડ જપ્ત કરી : ઈડીએ 400 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
હૈદરાબાદ : રોકાણકારોને તેમના રોકાણ ઉપર ૩૬ ટકા જેવું માતબર વળતર આપવાના નામે છેતરપિંડી કરનારી હૈદરાબાદની મહિલાની ધરપકડ થયા પછી હવે ઈડીએ તેની ૪૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવાની સાથે સાથે વધારે તપાસ હાથ ધરી છે. હૈદરાબાદની નૌહેરા શેખ નામની મહિલા પર આરોપ છે કે તેણે સુપ્રીમ કોર્ટને પણ ગેરમાર્ગે દોરીને આગોતરા જામીન માટે પ્રયાસો કર્યા હતા. તેણે ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે અને લગભગ ૧.૭૦ લાખ લોકો એની આર્થિક ગોટાળાનો ભોગ બન્યા છે.
જે મુસ્લિમો શરિયા કાનૂનમાં માનતા હતા તેમને નિશાન બનાવીને નૌહેરા શેખ નામની મહિલાએ તેમની પાસેથી રોકાણ મેળવ્યું હતું. નિર્દોષ લોકોને એવું કહ્યું કે તેમને રોકાણ પર ૩૬ ટકાનું વળતર મળશે. શરૂઆતમાં તેણે વળતર આપ્યું અને તેનાથી અન્ય લોકો પણ રોકાણ કરવા પ્રેરાયા. એ પછી આ મહિલાએ ૧.૭૦ લાખ લોકો પાસેથી રકમ ઉઘરાવી લીધી હતી અને ૬૦૦૦ કરોડ જમા કરી લીધા હતા. તેણે વળતર આપવાનું બંધ કર્યા પછી વ્યાપક ફરિયાદ ઉઠી હતી. પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે આ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમમાં તેણે એવું કહ્યું હતું કે તે હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર થઈ હતી, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી ન હતી. સુપ્રીમે તેના જામીન ફગાવી દીધા હતા.
દરમિયાન પોલીસે ગુરુગ્રામની હોટલમાંથી નૌહેરાની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે તેણે કોર્ટ ઉપરાંત જુદી જુદી તપાસ એજન્સીઓને પણ ગેરમાર્ગે દોરી હતી.
આખરે ઈડીએ તેની સામે કાર્યવાહી કરીને ૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. તેની પાસેથી ૧૨ તો લક્ઝરિયસ કારનો કાફલો મળી આવ્યો હતો. જેમાં બીએમડબલ્યુ, મર્સિડીસ, સ્કોર્પિયો, ફોર્ચ્યુનર વગેરેનો સમાવેશ થતો હતો. તેની પાસેથી ૯૨ લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત થઈ હતી. તેના એક સાગરિતે તો પીએમઓના અધિકારીની ઓળખ આપીને સંપત્તિ વેચવાની ફિરાક કરીને સુપ્રીમના આદેશને રોકીને પીડિતોને વળતર આપવામાં આવશે એવું જૂઠાણું ચલાવ્યું હતું. કેટલાય મહિનાથી ચાલતી આ પ્રક્રિયા દરમિયાન પોલીસે માસ્ટર માઈન્ડ મહિલા ઉપરાંત તેના સાગરિતોની પણ ધરપકડ કરી છે.










