![]()
Siddaramaiah Resigns: કર્ણાટકના રાજકારણમાં એક મોટો ગરમાવો આવ્યો છે, જ્યાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલાં તેમણે બેંગલુરુમાં પોતાના મંત્રીમંડળ સાથે એક છેલ્લી બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન સિદ્ધારમૈયા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમણે પોતાના સાથી મંત્રીઓ સમક્ષ દિલ ખોલીને પોતાના મનની વાત રજૂ કરી હતી.
છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાવુક થયા સિદ્ધારમૈયા
આ છેલ્લી કેબિનેટ બેઠકમાં સિદ્ધારમૈયાએ પોતાના સહયોગીઓને સંબોધતાં કહ્યું કે, ‘છેલ્લા 20 વર્ષોમાં હું તમને બધાને વઢ્યો છું અને ગુસ્સે પણ થયો છું. પરંતુ આ બધું મેં માત્ર પાર્ટી અને સરકારના હિત માટે જ કર્યું હતું, તેમાં મારો કોઈ અંગત સ્વાર્થ કે અદાવત નહોતી. તેથી આ વાતોને દિલ પર ન લેતાં અને ભૂલી જજો. આ તમામ વર્ષોમાં તમે મને જે સાથ-સહકાર આપ્યો છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’
આ પણ વાંચો: Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી રીતે બદલાશે
હાઇકમાનના આદેશનું પાલન કર્યું: સિદ્ધારમૈયા
રાજીનામું આપ્યા બાદ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ‘મેં લોક ભવનમાં કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી મારું રાજીનામું સુપરત કરી દીધું છે. રાજ્યપાલ હાલમાં ત્યાં હાજર નથી અને તેઓ આજે રાત્રે પરત ફરવાના હોવાથી રાજીનામું તેમના કાર્યાલયમાં જમા કરાવી દેવામાં આવ્યું છે. મેં અગાઉ પણ ઘણી વખત કહ્યું હતું કે જ્યારે પણ હાઇકમાન મને પદ છોડવા માટે કહેશે, ત્યારે હું રાજીનામું આપી દઈશ. બરાબર એ જ રીતે, બે દિવસ પહેલાં હાઇકમાન તરફથી મને પદ છોડવાનો આદેશ મળ્યો હતો અને મેં તેમને આજે રાજીનામું આપી દેવાની ખાતરી આપી હતી, જે મુજબ મેં મારું રાજીનામું આપી દીધું છે.’










