ગામ વિકાસને નવી દિશા : પિયાવા, જેજાદ અને વીરડી ગામે રૂ. ૭૫ લાખના પંચાયત ઘર (ગ્રામ સચિવાલય) ના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
સાવરકુંડલા લિલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે સાવરકુંડલા તાલુકામાં રૂ. ૭૫ લાખના ગ્રામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા
સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઇ કસવાલા હસ્તે સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામ વિકાસને વેગ આપતા મહત્વપૂર્ણ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બને અને ગ્રામ પંચાયતનું વહીવટી કાર્ય વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે હેતુસર કુલ રૂ. ૭૫ લાખના ખર્ચે નવા ગ્રામ સચિવાલય (પંચાયત ઘર) ના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ સચિવાલય (પંચાયત ઘર) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં પંચાયત ઘરની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોય, નવા મકાનથી ગ્રામજનોને વહીવટી સેવાઓ વધુ સરળતાથી પ્રાપ્ત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારબાદ જેજાદ ગામે પણ રૂ. ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ સચિવાલય (પંચાયત ઘર) ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવા માટે સતત વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વીરડી ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવા ગ્રામ સચિવાલય (પંચાયત ઘર) નું લોકાર્પણ પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા પંચાયત ઘરથી ગામના વહીવટી કામોમાં સરળતા વધશે તેમજ ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી શકશે.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










