![]()
Rajkot Suicide Case : રાજકોટમાં માનસિક વિકૃત મિત્રોના ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને એક આધેડે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના રાજકોટ તાલુકાના હોડથલી ગામની છે, જ્યાં હરિભાઈ જાદવ નામના વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જોકે, આપઘાત કરતા પહેલાં મૃતકે એક સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
સુસાઈડ નોટમાં પાડોશીઓ સહિત 8 લોકોના નામ
મળતી માહિતી મુજબ, હરિભાઈએ આપઘાત કરતા પહેલાં લખેલી સુસાઈડ નોટમાં તેમના શેઢા પાડોશી નરેશભાઈ અને રવજીભાઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, તેમની સાથે અન્ય 6 અજાણ્યા લોકો પણ સામેલ હોવાની વાત સુસાઈડ નોટમાં લખવામાં આવી છે.
ફોટા પાડી 20 લાખ રૂપિયાની માગણી કરી
સુસાઈડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ વિકૃત શખ્સો હરિભાઈ પાસે પરાણે વિકૃત કામ કરાવતા હતા, અને ત્યારબાદ તેના ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને આ ટોળકી હરિભાઈને બ્લેકમેલ કરી રહી હતી, અને તેમની પાસે 20 લાખ રૂપિયાની મસમોટી રકમની માગણી કરવામાં આવી રહી હતી.
પુત્રને જમીન વેચીને રૂપિયા આપી દેવા કહ્યું હતું
આ માનસિક ત્રાસ એટલો અસહ્ય બની ગયો હતો કે, મૃતકે આપઘાત કરતા પહેલાં પોતાના પુત્ર સાથે સમગ્ર ઘટના અંગે વાતચીત પણ કરી હતી. તેમણે પુત્રને જમીન વેચીને આ નાણાં ચૂકવી દેવા માટે જણાવ્યું હતું, જેથી આ બદનામી અને ત્રાસમાંથી મુક્તિ મળી શકે. પરંતુ આખરે આ ગંભીર માનસિક દબાણ ન જીરવી શકતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું. હાલમાં હરિભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. સુસાઈડ નોટના આધારે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને બ્લેકમેલ કરનારા વિકૃત શખ્સોની ધરપકડ કરવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










