![]()
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામે સગાઈ રાખવાની ના પાડતા યુવતી અને તેના પરિવાર પર છરી તથા લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવતી સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ચકચાર મચી ગઈ છે.
કુટેવોના કારણે સગાઈ તોડતા હુમલો થયો
મળતી માહિતી અનુસાર, સાયલા વિસ્તારની યુવતીની સગાઈ લીંબડી ખાતે રહેતા એક યુવક સાથે કરવામાં આવી હતી. જોકે, આ યુવક કુટેવો ધરાવતો હોવાનું સામે આવતા યુવતી અને તેના પરિવારે આ સંબંધ આગળ ન વધારવાનો નિર્ણય કર્યો હતો અને સગાઈ તોડી નાખી હતી. સગાઈ તૂટી જવાની બાબતનું મનદુઃખ રાખીને લીંબડીના યુવકના પરિવારે ગોસળ ગામે આવીને યુવતી અને તેના પરિવાર પર છરી તથા લાકડીઓ વડે ઘાતક હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: નલ સે જલ કૌભાંડ: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મનહર પટેલની ધરપકડ
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ત્યાં પણ હુમલાનો પ્રયાસ
આ હુમલામાં યુવતી સહિત કુલ 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સાયલા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરોની હિંમત એટલી વધી ગઈ હતી કે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે પણ તેઓએ ઇજાગ્રસ્ત પરિવાર પર ફરીથી હુમલો કર્યો હતો. હાલ આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે!
આ ઘટનાએ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીં કડક અધિકારીઓ હોવાની વાતો માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગુનાખોરી આચરતા તત્વોમાં ખાખી (પોલીસ)નો જરા પણ ખોફ જોવા મળી રહ્યો નથી.










