![]()
Kheda News: ખેડા જિલ્લાના રસીકપુરાની સીમમાં પર્યાવરણ અને માનવ જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું એક બહુ મોટું કૌભાંડ ઝડપાયું છે. ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાકી બાતમીના આધારે સાબરમતી નદીના કિનારે આવેલા ‘અમન ટ્રેડર્સ’ નામના ગેરકાયદેસર ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. સંધ્યા કાળથી શરૂ કરીને મધરાત સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં લોકઆરોગ્ય સાથે રમત રમતા માફિયાઓનો પર્દાફાશ થયો છે. આ ફેક્ટરી કોઈપણ સરકારી મંજૂરી કે પ્રદૂષણ બોર્ડના પરવાના વગર રાત-દિવસ ધમધમતી હતી. ચોંકાવનારી વાત એ છે કે, માફિયાઓએ આશરે 100 મીટર લાંબી અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) પાઇપલાઇન નાખી રાખી હતી, જેના દ્વારા ઝેરી કેમિકલયુક્ત કાળું પાણી સીધું જ સાબરમતી નદીના વહેતા પ્રવાહમાં ઠાલવવામાં આવી રહ્યું હતું.
ઓપરેશન મધરાત: પોલીસ કઈ રીતે પહોંચી ફેક્ટરી સુધી?
3 જૂન 2026ની સાંજે એલ.સી.બી. ખેડા-નડિયાદની ટીમને સચોટ બાતમી મળી હતી કે, રસીકપુરા ગામની સીમમાં, JTI કંપનીની સામે અને ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની પાછળ નદીના કિનારે એક પતરાના શેડમાં ગેરકાયદેસર પ્રોસેસ હાઉસ ચાલે છે. પોલીસે પંચોને સાથે રાખીને સાંજે 5:15 થી રાત્રિના 11:45 સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 200×80 ફૂટના આ વિશાળ લોખંડના પતરાવાળા શેડમાં કાપડના પ્રોસેસિંગ મશીનો ધમધમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રાજસ્થાન (બાડમેર)ના મજૂર રાજેશ સુખરામ મેઘવાલની અટકાયત કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ગેરકાયદે ફેક્ટરીનો માલિક શકીલહુસેન શરીફભાઈ ચૌહાણ (રહે. મણિનગર, અમદાવાદ) છે.
શેડમાંથી શું-શું જપ્ત કરાયું?
આ યુનિટ પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)નું કોઈ લાયસન્સ નહોતું. રેડ દરમિયાન શેડમાંથી કાપડ સુકવવાના અને કલર કરવાના મિન્ચ મશીનો. સોફર વોડ મશીન (હીટ ડાઈંગ માટે) અને ટુરખબીઘર મશીન. ભારે માત્રામાં કોસ્ટિક સોડા (Caustic Soda) અને કેલેન્ડર મશીન. જુદા-જુદા રંગના કેમિકલ પાવડર, એસિડના કેરબાઓ અને પ્લાસ્ટિકની બોરીઓ. અને ફેક્ટરીના દક્ષિણ-પશ્ચિમ ખૂણે બનેલી એક સિમેન્ટની કુંડી, જ્યાંથી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન સીધી નદીમાં જતી હતી.
BNS હેઠળ ગુનો દાખલ: FSL અને GPCBની રાત્રે જ એન્ટ્રી
ઘટનાની ગંભીરતા જોતા રાત્રે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી વી.એમ. પ્રજાપતિ, એ.ઈ.ઈ. ડી.સી. પટેલ તેમજ એફ.એસ.એલ. (FSL)ના સાયન્ટિફિક ઓફિસર ડી.આર. પટણી સ્થળ પર દોડી આવ્યા હતા.
કાયદેસરની કાર્યવાહી: એ.એસ.આઈ.ની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ 274 અને 280 (પર્યાવરણ અને જનજીવન જોખમમાં મૂકવા બાબત) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ PSI ચંપાવતને સોંપવામાં આવી છે.
GPCBની નોટિસ: પ્રદૂષણ બોર્ડ દ્વારા પાણી અધિનિયમ 1974, હવા અધિનિયમ 1981 અને પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ 1986 હેઠળ કડક નોટિસ (ID No. 32380) ફટકારવામાં આવી છે.
સેમ્પલિંગ: કુંડી અને નદીના પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈ તેને Mark A1, A2, A3 અને B1, B2, B3 તરીકે સીલ કરી લેબોરેટરી તપાસ માટે ગાંધીનગર મોકલાયા છે.
કેમિકલયુક્ત કાળું પાણી: માનવજીવન અને પશુઓ માટે ‘સાયલન્ટ કિલર’
નદીઓમાં છોડાતા આ કેમિકલ વેસ્ટની અસરો ભયાનક છે.
કેન્સરનું જોખમ
કેમિકલમાં રહેલા ભારે તત્વો (આર્સેનિક, સીસું, પારો) શરીરમાં જવાથી કેન્સર થાય છે. છેલ્લા 10 વર્ષમાં ઘણા ગ્રામજનોએ આના કારણે જીવ ગુમાવ્યા છે.
ઓર્ગન ફેલિયર
આ દૂષિત પાણી પીવાથી કમળો, ટાઇફોઇડ અને લાંબા ગાળે લીવર-કિડની ફેલ થવાના કિસ્સા બને છે.
ચામડીના રોગો
પાણીના સંપર્કથી ચામડી પર અસહ્ય ખંજવાળ, એલર્જી, સોજા અને ગુમડા થાય છે.
મૂંગા પશુઓનું મોત
નદીનું ઝેરી પાણી પીવાથી પશુઓ ટૂંકા સમયમાં મોતને ભેટે છે અને દૂધાળા પશુઓનું દૂધ પણ ઝેરી બને છે.
જાગૃત નાગરિકોનો આક્રોશ: તંત્ર કેમ નિંદ્રાધીન?
સ્થાનિક આગેવાનનું કહેવું છે કે, “ખેડા GPCBની હદમાં આવતા બારેજા, રસીકપુરા અને કનેરા જેવા સીમ વિસ્તારોમાં અનેક વોશિંગ અને ડાઇંગના એકમો કેમિકલયુક્ત પાણીને ટ્રીટ કર્યા વિના બેખોફ નદી-નાળા અને ગેરકાયદે ખાળકૂવાઓમાં છોડી રહ્યા છે. જો તંત્ર પ્રમાણિકતાથી તપાસ કરે તો હજી પણ આવા અસંખ્ય એકમો પકડાય તેમ છે.”
ખેડા તાલુકાના 21 ગામોના ખેડૂતો છેલ્લા 40 વર્ષથી સાબરમતી અને ખારીકટ કેનાલના કાળા કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા મજબૂર બન્યા છે. અમદાવાદના વટવા-વિંઝોલથી આવતી ખારીકટ કેનાલમાં ચોખ્ખા પાણીના પૈસા ચૂકવવા છતાં સિંચાઈ વિભાગ મૌન સેવીને બેઠું છે.
આ પણ વાંચો: અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે અંધારા
કનેરા ‘ઘર કા ઢાબા’ની સામે આવેલી એક મોટી કંપનીએ પણ પોતાની દૂષિત પાણીની પાઇપલાઇન સીધી કેનાલમાં ઉતારી હોવાની ચર્ચા છે. રાત્રિના સમયે અહીં ઝેરી પાણીના ટેન્કરો ઠાલવવામાં આવે છે. છેલ્લા 7 થી 8 મહિનામાં આ આ વિસ્તારનો સૌથી મોટો દરોડો છે. અગાઉ એસઓજીએ કઠવાડામાંથી પણ આવું જ કૌભાંડ પકડ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ ફેક્ટરીઓ સામે કાયમી તાળાં મારે છે કે પછી કાગળ પર વાતો કરીને મામલો થાળે પાડી દે છે!










