ભાવનગરની સર.ટી. હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને વિશ્વના સૌથી વામનકદ ધરાવતા તબીબ ડૉ.ગણેશ બારૈયા તેમજ તેમના માર્ગદર્શક ગુરુ ડૉ.દલપતભાઈ કાતરિયાને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત પ્રસિદ્ધ ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)માંથી ખાસ આમંત્રણ મળ્યું છે.
MBBSમાં પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડી
મૂળ તળાજાના ગોરખી ગામના વતની ડૉ.ગણેશ બારૈયાએ ધોરણ : 11 અને 12 સાયન્સનો અભ્યાસ તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાં પૂર્ણ કર્યો હતો. મેડિકલમાં પ્રવેશ માટે પૂરતા ગુણ હોવા છતાં, તેમની ઓછી શારીરિક ઊંચાઈને કારણે તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
આ અન્યાય સામે લડવા માટે નીલકંઠ વિદ્યાપીઠ – તળાજાના સંચાલક અને તેમના ગુરુ ડૉ.દલપતભાઈ ડી.કાતરિયા આગળ આવ્યા.તેમણે પ્રથમ ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની જંગ ખેલ્યો હતો.
અંતે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી ગણેશ બારૈયાનો ડોક્ટર બનવાનો માર્ગ મોકળો થયો અને તેઓ આજે વિશ્વના સૌથી નાની હાઈટ ધરાવતા સફળ તબીબ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
KBC શૂટિંગ અને હોટસીટ અંગે ડૉ.દલપતભાઈ કાતરિયાએ જણાવેલી માહિતી અનુસાર આગામી તારીખ : 24 અને 25 જુલાઈના રોજ KBCની ખાસ પ્રોડક્શન ટીમ તળાજા ખાતે આવીને ડૉ.ગણેશ બારૈયાના જીવન અને સંઘર્ષ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ કરશે.29 જુલાઈથી (ચાર દિવસ) બંને મુંબઈ સ્થિત KBC સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેશે, જ્યાં તેઓ હોટસીટ પર અમિતાભ બચ્ચન સામે બેસીને પ્રશ્નોના જવાબો આપશે.આ ગુરુ-શિષ્યની જોડીની સફળતા અને સંઘર્ષની આ વાર્તા હવે દેશભરના ટીવી સ્ક્રીન પર પ્રસારિત થશે.







