![]()
ચોટીલા તાલુકાનાં સાંગાણી ગામ પાસે ગોઝારો અકસ્માત
પીપળીધામમાં રામાપીરના દર્શન કરી પરત ફરતી વખતે હોટલ નજીક જીવલેણ અકસ્માત નડયો, પ્રજાપતિ સમાજમાં શોકનું મોજું
ચોટીલા: ચોટીલા – સાયલા ધોરી માર્ગ પર સાંગાણી ગામના ઓવરબ્રીજ અને બળદેવ હોટલ નજીક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા આઇસર ટ્રકના ચાલકે મોટરસાયકલને જોરદાર ઠોકર મારતાં રાજકોટના સોરઠીયા પ્રજાપતિકુંભાર જ્ઞાાતિના બે કુટુંબી ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતથી બંને યુવકોના પરિવારોમાં શોક છવાયો છે.
રાજકોટના ગાંધીગ્રામ ભારતીનગર-૧, ઉદય હોલની પાછળ રહેતા જતીનભાઇ રણછોડભાઈ ભલસોડ (ઉં.વ. ૨૬) અને માધાપર ચોકડી પાસે માતૃ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના પિતરાઈ ભાઈ મયુરભાઇ મથુરભાઈ ભવાનભાઈ ભલસોડ (ઉં.વ. ૨૭) ગઈકાલે બાઇક લઈને સુરેન્દ્રનગર નજીક પીપળીધામ રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલાના સાંગાણી ગામ પાસે કાળમુખા આઇસર ટ્રકે તેમની બાઇકને ઉલાળી દીધી હતી.
ટ્રકની ભયાનક ટક્કરના કારણે બંને ભાઈઓ રોડ પર ફગોળાઈ ગયા હતા. જેમાં મયુરભાઇ ભલસોડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા જતીનભાઇ ભલસોડને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે પણ હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ચોટીલા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
– અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવાનો પરિવારનો આધારસ્તંભ હતા
મૃતક જતીનભાઇ બે બહેનોનો એકનો એક મોટો ભાઈ હતો, તે અપરિણીત હતો. તેના પિતા ખેતી મજુરી કરે છે. પોતે લેથ તથા ગેરેજનું કામકાજ સંભાળી પરિવારને આથક મદદ કરતો હતો. જ્યારે બીજા મૃતક મયુરભાઇ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાના હતા. તેમના પિતા હયાત નથી અને તેઓ કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા.










