![]()
Vadodara : સુરતનું જમણ અને કાશીનું મરણ…તેવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે..કાશીમાં થનારુ મૃત્યું પણ પવિત્ર મનાય છે. કાશીના પ્રસિધ્ધ મણિકર્ણિકા ઘાટ પર તો દિવસનો મોટાભાગનો સમય ચિતાઓ પ્રગટેલી જ હોય છે.
અહીંયા દાહ સંસ્કારનું કામ મોટાભાગે કાશીના ડોમ સમુદાય સાથે સંકળાયેલા લોકો જ કરતા હોય છે. તેમની કામગીરી કેટલી પડકારજનક છે અને તેમને કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તે અંગે સમાજમાં બહુ ઓછી જાણકારી છે. એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થી વ્રજ ઠક્કરે પોતાના ગાઈડ મનિષ ધાકડના માર્ગદર્શન હેઠળ આ વિષય પર સંશોધન કર્યું છે.
અહીંયા કામ કરા લોકો પૈકી 69 ટકાએ કહ્યું હતું કે, અમારી આવક પરિવારને સપોર્ટ કરવા માટે પૂરતી નથી તો 91 ટકાએ અકસ્માતે દાઝી જવાની, સતત ઉઠતા ધૂમાડાના કારણે શ્વાસ સબંધી સમસ્યાઓ, શારીરિક નબળાઈ જેવી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરતા હોવાનું કહ્યું હતું. 77 ટકાએ જણાવ્યું હતું કે, સ્મશાનમાં કામ કરતા હોવાથી અમારે ભેદભાવનો સામનો કરવો પડે છે. સંશોધકોના મતે સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, આટલા પડકારો છતા બહુમતી લોકો અંતિમ ક્રિયાનું કામ ચાલુ રાખવા માંગે છે. જેની પાછળના મુખ્ય બે કારણ આર્થિક જરૂરિયાત અને વૈકલ્પિક રોજગારની તકોનો અભાવ છે.
કામ કરનારા 97 ટકા દારૂ અથવા તમાકુના બંધાણી
સ્વાભાવિક છે કે, મણિકર્ણિકા ઘાટ પર રોજ સેંકડો મૃતદેહોની અંતિમ વિધિ કરવાની હોય એટલે સતત ઉદાસીનો માહોલ હોય. આ વાતાવરણ ઘાટ પર કામ કરનારા લોકોના માનસ પર અસર કરે છે અને તેઓ સતત ભાવનાત્મક તકલીફોનો સામનો કરે છે. જેમાંથી બહાર આવવા માટે 97 ટકા કર્મચારીઓ તમાકુ અથવા દારૂ પીએ છે. તો કેટલાક કર્મચારીઓએ કહ્યું હતું કે, અમારું કામ મૃતકોને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે.
દેવ દિવાળીએ લીધેલી મુલાકાત બાદ સંશોધનનો વિચાર આવ્યો
આ સંશોધન કરનાર વ્રજ ઠક્કર કહે છે કે, દેવ દિવાળી દરમિયાન કાશીની મુલાકાતે ગયો હતો અને તે વખતે મણિકર્ણિકા ઘાટ પર જવાની તક મળી હતી. અહીંયા કામ કરતા સમુદાયના લોકો સાથે થયેલી વાતચીત બાદ તેમના જીવન અંગે વધુ જાણવાની ઈચ્છા થઈ હતી અને તેમની તકલીફોને ઉજાગર કરવા માટેનો વિચાર આવ્યો હતો.










