![]()
El Nino Impact On India Monsoon : ભારતના ચોમાસા પર આ વર્ષે ફરી એકવાર ‘અલ નીનો’ની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD)ના અંદાજ મુજબ, પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જે અલ નીનો સક્રિય થવાના સંકેત છે. આગામી મહિનાઓમાં આ સ્થિતિ વધુ મજબૂત બની શકે છે, તેથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર તેની અસરને લઈને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે, ભારતમાં અલ નીનોને ઓછા વરસાદ, અતિશય ગરમી અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સાથે જોડવામાં આવે છે. જોકે તેની અસર દર વર્ષે અને દરેક જગ્યાએ એકસરખી નથી હોતી.
ચોમાસાના મુખ્ય મહિનાઓમાં જ અલ નીનોની આશંકા
IMDના જણાવ્યા અનુસાર, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે અલ નીનોની તીવ્રતા વધી શકે છે. આ એ જ સમયગાળો છે જ્યારે ભારતને ચોમાસાનો સૌથી વધુ વરસાદ મળે છે. જો આ સમય દરમિયાન અલ નીનો મજબૂત થશે, તો દેશના અનેક ભાગોમાં વરસાદની વ્યવસ્થા ખોરવાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ તો કેટલાક વિસ્તારોમાં અછત સર્જાઈ શકે છે. તેથી માત્ર આ એક જ પરિબળના આધારે આખા દેશના ચોમાસાનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે.
આ પણ વાંચો : TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક
કૃષિ અને અર્થતંત્ર પર પડતી અસરો
ભારતમાં જ્યારે પણ અલ નીનો સક્રિય થાય છે, ત્યારે ચોમાસાના પવનો નબળા પડી જાય છે. તેના કારણે દેશના અનેક રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય છે. આ પરિસ્થિતિ સીધી રીતે પાકના ઉત્પાદન, જળાશયોમાં પાણીની આવક, પીવાના પાણીની સપ્લાય અને વીજ ઉત્પાદન પર માઠી અસર પહોંચાડે છે. ખાસ કરીને જે ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ આધારિત ખેતી કરે છે, તેમના માટે આ સ્થિતિ મોટા પડકારો ઊભા કરી શકે છે.
ઈન્ડિયન ઓશન ડાઈપોલ (IOD) અને ભારતની સ્થિતિ
ઘણીવાર પેસિફિક મહાસાગરના અલ નીનોની નકારાત્મક અસરને હિંદ મહાસાગરમાં સર્જાતી ‘ઈન્ડિયન ઓશન ડાઈપોલ’ (IOD)ની સકારાત્મક સ્થિતિ સંતુલિત કરી દે છે, જે ભારતમાં વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. પરંતુ હવામાન વિભાગના ચાલુ વર્ષના આકલન મુજબ, આ વખતે IOD તરફથી બહુ મોટી મદદ મળવાની આશા નથી. તેથી હિંદ મહાસાગર તરફથી ભારતીય ચોમાસાને મજબૂતી મળે તેવી સંભાવના હાલ નહિવત્ દેખાઈ રહી છે.
શું છે આ ઈન્ડિયન ઓશન ડાઈપોલ?
ઈન્ડિયન ઓશન ડાઈપોલ એ હિંદ મહાસાગરમાં સર્જાતી એક આબોહવાકીય ઘટના છે, જેને ‘ભારતીય નીનો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં ફેરફાર થાય છે. જ્યારે આફ્રિકા નજીક પશ્ચિમ હિંદ મહાસાગરનું પાણી, ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની આસપાસના પૂર્વીય હિસ્સા કરતાં વધુ ગરમ થાય, ત્યારે તે સ્થિતિ ભારત માટે ફાયદાકારક બને છે. આ ગરમ પાણીને કારણે ભેજવાળા પવનો ભારત તરફ આગળ વધે છે અને ચોમાસું મજબૂત બનાવે છે.
સરળ ભાષામાં સમજો: શું છે અલ નીનો?
અલ નીનો એ એક કુદરતી ભૌગોલિક ઘટના છે. જ્યારે ભૂમધ્ય રેખીય પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગોમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આ વૈશ્વિક ફેરફાર દુનિયાભરના હવામાનને પ્રભાવિત કરે છે. ભારત માટે તે ચિંતાનો વિષય એટલે છે કારણ કે દેશની ખેતી, ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્ર મહદંશે ચોમાસાના વરસાદ પર ટકેલા છે. વરસાદ નબળો રહેવાથી જળાશયો ખાલી રહે છે અને મોંઘવારી વધવાનું જોખમ પણ ઊભું થાય છે.
આ પણ વાંચો : રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ










