![]()
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયતી તલાટીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ, પંચાયતી તલાટીઓએ મહેસૂલ વિભાગ સહિતની અન્ય વધારાની કામગીરીઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તલાટી મંડળના આ આંદોલનકારી વલણને કારણે આગામી દિવસોમાં ગ્રામ્ય સ્તરે સરકારી વહીવટી કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ગંભીર સંભાવનાઓ સેવાઈ રહી છે.
જોબ ચાર્ટ અલગ કરવા મુદ્દે આરપારની લડાઈ
પંચાયતી તલાટી મંડળનો મુખ્ય વિરોધ જોબ ચાર્ટ (કામગીરીની વહેંચણી) અલગ કરવા મુદ્દે છે. મંડળનો આરોપ છે કે, રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી તલાટીઓની નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યાને સાડા ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી તેમના કામનું યોગ્ય વિભાજન કરવામાં આવ્યું નથી. સરકાર દ્વારા આ બાબતે ન્યાય ન તોળાતા આખરે તલાટીઓએ આકરો આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે.
સરકારે કામગીરી નક્કી કર્યા વગર જ નિમણૂક કરી!
તલાટી મંડળના હોદ્દેદારોએ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, ‘સરકારે કોઈ ચોક્કસ કામગીરી કે નિયમો નક્કી કર્યા વગર જ ઉતાવળે મહેસૂલી તલાટીઓની નિમણૂક પ્રક્રિયા હાથ ધરી દીધી હતી, જે બિલકુલ વ્યાજબી નથી.’ આ અસ્પષ્ટતાના કારણે પંચાયતી તલાટીઓ પર વધારાની કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે.
જો પંચાયતી તલાટીઓ પોતાની ચીમકી મુજબ મહેસૂલ અને અન્ય પંચાયત સિવાયની વધારાની કામગીરીઓથી અલિપ્ત થઈ જશે, તો ગામડાઓમાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોને દાખલાઓ, જમીનના રેકોર્ડ અને અન્ય વહીવટી કાર્યો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર તલાટીઓની આ ચીમકી બાદ વહેલી તકે કોઈ સુખદ પ્રશ્નનો ઉકેલ લાવે છે કે પછી ગ્રામ્ય સ્તરનો વહીવટ ઠપ્પ થાય છે.










