![]()
– બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ પક્ષની કમાન પણ ગઇ
– મમતાને રૂપિયા ઉપાડતા રોકવા ટીએમસીના ખાતા ફ્રીઝ કરવા કોષાધ્યક્ષનો બેન્કને પત્ર, ઋતબ્રતનું સમર્થન
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાના પક્ષ પરથી પણ સત્તા ગુમાવી દીધી છે. બળવાખોર ઋતબ્રત બેનરજીને વિપક્ષના નેતા બનાવવા સામે થયેલી અરજીમાં કલકત્તા હાઇકોર્ટે હાલ રાહત નથી આપી. જેને પગલે હવે ઋતબ્રત બેનરજી જ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા રહેશે. દરમિયાન ટીએમસીના બેન્ક ખાતામાં મમતા એક રૂપિયો પણ નહીં ઉપાડી શકે. કેમ કે ટીએમસીના કોષાધ્યક્ષે બેન્કને ખાતામાંથી તમામ લેનદેન રોકવા પત્ર લખ્યો છે.
બળવાખોર ધારાસભ્યોના ટેકાથી ઋતબ્રત બેનરજી વિધાનસભામાં વિપક્ષના નેતા બની ગયા છે, તેમને આ પદ સોંપવાના સ્પીકરના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. હાઇકોર્ટે સ્પીકરના નિર્ણય પર વચગાળાના સ્ટેની ના પાડી દીધી છે. આ સાથે જ હવે મમતા બેનરજી પોતે અથવા પોતાના કોઇ માનિતાને વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બનાવી શકે. તેમના વિરોધી ઋતબ્રત બેનરજી જ આ પદ સંભાળતા રહેશે. જોકે હાઇકોર્ટ દ્વારા હાલ વચગાળાનો સ્ટે આપવાની ના પડાઇ છે પણ ૨૮મી જુલાઇના રોજ ફરી સુનાવણી કરવામાં આવશે. મમતા બેનરજીએ પહેલા સત્તા ગુમાવી પછી તૃણમુલ કોંગ્રેસની કમાન પણ હાથમાંથી ગઇ હવે પક્ષના ફન્ડમાંથી મમતા નાણા નહીં લઇ શકે, કેમ કે પક્ષના કોષાધ્યક્ષ અરુપ બિશ્વાસે મોટો ઝટકો આપ્યો છે, બિસ્વાસે ટીએમસીનું ખાતુ જે બેન્કમાં છે તેના અધિકારીને પત્ર લખ્યો છે અને ટીએમસીના તમામ ખાતાને ફ્રીઝ કરી દેવા કહ્યું છે. જો બેન્ક દ્વારા આ માગ સ્વીકારી લેવામાં આવશે તો મમતા બેનરજી ટીએમસીના બેન્ક ખાતામાં જમા નાણામાં કોઇ જ વ્યવહાર નહીં કરી શકે. બીજી તરફ ખાતા ફ્રીઝ કરવાના અરુપના નિર્ણયને બળવાખોર અને વિપક્ષના નેતા ઋતબ્રતે સમર્થન આપ્યું છે. તેથી સ્વાભાવીક છે કે હવે મમતા નહીં ઋતબ્રત બેનરજી બેન્ક ખાતાનો ઉપયોગ કરે તેવી શક્યતાઓ છે.










