![]()
– કેન્દ્રના પ્રતિબંધ સામે થયેલી ટેલિગ્રામની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
– જેલમાં બંધ વિદ્યાર્થી પણ નીટની પરીક્ષા આપી શકશે, શિક્ષણના અધિકારો બધા માટે સરખા : છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો
નવી દિલ્હી : નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પેપર લીક ન થાય તે માટે કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. ૨૨મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકાયો તે પછી ટેલિગ્રામ કંપનીએ તેની સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજી બાદ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને સવાલો કર્યા હતા અને કેન્દ્રના ખુલાસા સાંભળ્યા બાદ આખરે ટેલિગ્રામ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે અને કેન્દ્રના નિર્ણયને યોગ્ય પણ ગણાવ્યો છે.
૨૨મી જૂને નીટની પરીક્ષા યોજાવાની છે. પહેલી વખત પરીક્ષા યોજાઈ એનું પેપર લીક થયું હતું અને એ પેપરના ફેલાવામાં ટેલિગ્રામની ભૂમિકા સામે આવી હતી. ટેલિગ્રામનો ફરીથી દુરુયપોગ ન થાય તે માટે કેન્દ્ર સરકારે પરીક્ષા યોજાઈ જાય ત્યાં સુધી મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેની સામે ટેલિગ્રામ કંપનીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કેન્દ્રને સવાલો કર્યા હતા કે અમુક હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા છે ત્યારે દેશના ૧૫ કરોડ યુઝર્સ જે એપ યુઝ કરે છે તેના પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. તે સંદર્ભમાં કેન્દ્રએ ખુલાસા કર્યા હતા.
એ ખુલાસાને માન્ય રાખીને આખરે દિલ્હી હાઈકોર્ટે નીટની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી એપ પર પ્રતિબંધ માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ પ્રતિબંધ કંપનીના કહેવા પ્રમાણે વધારે પડતો નથી. કારણ કે એપમાં કન્ટેન્ટને ઓટોમેટિક રીતે વધારે ફેલાવવાની ક્ષમતા છે અને તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય યોગ્ય છે.
છત્તીસગઢ હાઈકોર્ટે પણ નીટના સંદર્ભમાં એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક વિદ્યાર્થી રાયપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને નીટની પરીક્ષા આપવાની છે. એની અરજી છત્તીસગઢ હાઈકોર્ટમાં પહોંચી હતી. હાઈકોર્ટે જેલમાં બંધ વિદ્યાર્થીને પરીક્ષા આપવાની અરજી મંજૂર કરતા કહ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો સમાન અધિકાર છે. શિક્ષણ બધા માટે જરૂરી છે એટલે પરીક્ષા આપતા અટકાવી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું કે ન્યાયિક પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય પ્રભાવિત થવું ન જોઈએ. હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીને સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવો અને તે પછી ફરીથી જેલ પ્રશાસનના હવાલે કરી દેવો. આ ચુકાદા પછી હવે ૨૦ વર્ષની યુવતીને આપઘાત માટે ઉશ્કેરવાના આરોપમાં જેલમાં બંધ ૨૧ વર્ષનો વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. દરમિયાન એનટીએ દ્વારા ૨૦મી જૂને નીટની પરીક્ષા પહેલાં દેશભરમાં મોક ડ્રિલ થશે. એ રીતે પરીક્ષા પહેલાં સિસ્ટમ ચેક કરવામાં આવશે.










