![]()
– દેશમાં 5440 કેન્દ્રોના 95000 પરીક્ષાખંડમાં નીટ-યુજી યોજાઇ
– અનેક કેન્દ્રો પર વિદ્યાર્થીઓ મોડા પડતા પ્રવેશ ના મળ્યો, નિયમ મુજબ ધાર્મિક પ્રતીકો, ચિન્હો હટાવાતા પણ વિવાદ
– વારાણસીમાં આંતરવસ્ત્રમાં મોબાઇલ છૂપાવીને પ્રવેશવા જઇ રહેલો વિદ્યાર્થી ઝડપાયો, પોલીસે અટકાયત કરી
– મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટને બંધ રાખવા માટે કેન્દ્રો પર ૫૧,૩૧૧ જેમર્સ લગાવવા પડયા
– કોલકાતામાં એક ઘાયલ વિદ્યાર્થી માટે અલગથી પરીક્ષાખંડ, એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની વ્યવસ્થા કરાઇ
નવી દિલ્હી: નીટ-યુજીની ફરી યોજાયેલી પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થઇ ગઇ હતી, રવિવારે ભારે સુરક્ષા વચ્ચે ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ નીટ-યુજીની પરીક્ષા આપી હતી. ત્રણ મેના રોજ યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થઇ જતા ફરી પરીક્ષા યોજવી પડી છે. દેશભરમાં ૯૫૦૦૦ પરીક્ષાખંડ પર ૧.૩૮ લાખ સીસીટીવી કેમેરા વચ્ચે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હજુસુધી ફરી યોજાયેલી પરીક્ષાને લઇને કોઇ અયોગ્ય ઘટના સામે નથી આવી.
ભારતમાં ૫૫૧ શહેરોના ૫૪૪૦ કેન્દ્રો પર ૫૧,૩૧૧ જેમર લગાવાયા હતા કે જેથી કોઇ પણ પ્રકારનું નેટવર્ક કે ઇન્ટરનેટ જ ના ચાલે અને પેપર લીકને રોકી શકાય. જ્યારે ભારત બહાર પણ આશરે ૧૪ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ હતી. બપોરે બે વાગ્યે પરીક્ષા શરૂ થઇ હતી અને સાંજે પાંચ વાગ્યાને ૧૫ મિનિટે પૂર્ણ થઇ હતી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ અનેક વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર નહોતા પહોંચી શક્યા, નિયમ મુજબ બપોરે ૧.૩૦ કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ લઇ લેવો ફરજિયાત હતું.
ટેક્નોલોજીની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરાયા હતા, આશરે બે લાખથી વધુ સુરક્ષાકર્મીઓ સમગ્ર વ્યવસ્થા પર નજર રાખી રહ્યા હતા. સમયસર પરીક્ષા કેન્દ્ર પર ના પહોંચી શકવું, અકસ્માતનો સામનો કરવો જેવા કેટલાક મામલા સામે આવ્યા હતા. જેમ કે ભોપાલમાં સમયસર ના આવવાને કારણે બે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહોતો અપાયો, પરિવારનો દાવો હતો કે અકસ્માતને કારણે વિદ્યાર્થીને સારવાર આપવી પડી પછી પરીક્ષા આપવા આવ્યા જેમાં મોડુ થઇ ગયું, કોલકાતામાં ભારે વરસાદને કારણે પણ વિદ્યાર્થીઓ ફસાયા હતા, શહેરમાં એક ઘાયલ વિદ્યાર્થીને પરીક્ષા માટે અલગથી વ્યવસ્થા કરી અપાઇ હતી, કેન્દ્ર બહાર એક એમ્બ્યૂલંસ પણ તૈયાર રખાઇ હતી. ૧૪મી જુનના શૃષ્ટી દુબે અકસ્માતમાં ઘાયલ થયેલ જેને પગલે તેના માટે ડોક્ટરોની ટીમ સાથે વ્યવસ્થા કરાઇ હતી. પરીક્ષા યોજનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ કહ્યું હતું કે હિન્દી, અંગ્રેજી સહિત ૧૩ ભાષામાં આ પરીક્ષા યોજાઇ હતી.
કોઇ ડમી પરીક્ષાર્થી ના આવે કે ચોરી ના કરી શકે તે માટે ૩૮૭૯૮ ફ્રિસ્કિંગ કર્મચારીઓ અને ૪૮,૪૪૮ બાયોમેટ્રિક ચકાસણી કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ચોરી કરે તે પહેલા જ કાપલી સાથે પકડાઇ ગયા હતા, વારાણસીમાં શ્રી હરિશ્ચંદ્ર પીજી કોલેજ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ પહેલા ચેકિંગ દરમિયાન એક વિદ્યાર્થી પકડાયો હતો, જેની પાસે અન્ડરગારમેન્ટમાંથી મોબાઇલ, સિમ, જુના નીટ પ્રશ્નપત્ર, ગ્લૂ વગેરે મળી આવ્યા હતા તેથી પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. જ્યારે બેંગલુરુનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલીક વિદ્યાર્થિનીઓને મોડું થતા પ્રવેશ ના મળ્યો તેથી તેઓ ભાંગી પડી હતી અને ધુ્રસકે ને ધુ્રસકે રડતી જોવા મળી હતી. જ્યારે કેટલાક કેન્દ્રો પર ધાર્મિક પોષાક કે ચિન્હોને હટાવાતા વિવાદ થયો હતો. એકંદરે મેડિકલ ક્ષેત્રોમાં પ્રવેશ માટે લેવાતી સૌથી મોટી પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થઇ ગઇ હતી.
– ધૂરંધર-૩ નીટ પેપર લીક મામલે હશે : સોશિયલ મીડિયામાં રમૂજ
આદિત્ય ધરની ફિલ્મ ધૂરંધર ખૂબ ચર્ચામાં રહી છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા-નીટના પેપરલીક બાદ સોશિયલ મીડિયામાં અનેક રમૂજી રીલ્સ વાયરલ થઈ છે. આ બધી રીલ્સમાં પણ ધૂરંધરની થીમ જોવા મળી રહી છે. જેમાં, યુવાનો કહી રહ્યા છે કે, નીટ પેપરલીક મામલાને ધૂરંધર-૩ ફિલ્મમાં ઉઠાવવામાં આવશે. આ ફિલ્મમાં કહેવામાં આવશે કે, નીટનું પેપર કેટલાક પાકિસ્તાનીઓના હાથમાં આવી ગયું હતું. જો તેઓ ડોક્ટર બનત તો દેશની સુરક્ષા જોખમમાં મૂકાત એટલે નીટ પેપરલીક એક હોનારત નહીં, માસ્ટરસ્ટ્રોક હતું. આ રીલ્સ પર સોશિયલ મીડિયા યુઝર્સ પેટ પકડીને હસી રહ્યા છે. આ બધી રીલ્સ વાયરલ હોવા પાછળ કારણ પણ છે. ધૂરંધરના પહેલા પાર્ટ સુધી તો બધું ઠીક હતું. પરંતુ, બીજો પાર્ટ આવ્યો ત્યારે મતમતાંતર જોવા મળ્યા. ઘણાને લાગ્યું કે, આ ફિલ્મમાં એક પાર્ટી અને તેના નેતાઓનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. ધૂરંધરમાં નોટબંધીને પણ અતિ-મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવી. જેના વિશે અર્થશાસ્ત્રીઓના અલગ મત છે. આ ફિલ્મના ફેન્સ પણ માની રહ્યા છે કે, ફિલ્મમાં અતિશયોક્તિ છે એટલે જ ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ ધૂરંધર-૩ના સંભવિત નવા ગતકડાને પહેલેથી જ વધાવી રહ્યા છે. હવે જોઈએ નીટ પેપરલીકને માસ્ટરસ્ટ્રોક ગણાવવા માટે કેવી થીમ વાપરવામાં આવે છે? અને હા, જ્યારે પેપરલીક થતું હશે ત્યારે ક્યું જૂનું સોંગ વગાડે છે તે પણ જોવાનું રહેશે. ઓવટ ટુ યુ આદિત્ય ધર.
નીટના વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નડે માટે પીએમ મોદી એરપોર્ટ પર રોકાયા
નવી દિલ્હી: નીટ-યુજીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર જ ૧૫ મિનિટ વધુ રોકાયા હતા, મોદી રવિવારે કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ૧.૧૫ કલાકે પહોંચ્યા, જોકે પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશનો સમય ૧.૩૦ કલાકનો હતો, એવામાં ટ્રાફિકની કોઇ સમસ્યા પેદા ના થાય અને વિદ્યાર્થીઓને અડચણ ના બને તેને પગલે મોદી એરપોર્ટ પર જ ૧૫ મિનિટ સુધી રોકાયા હતા અને ૧.૩૦ વાગ્યા બાદ જ પોતાના કાફલા સાથે નિવાસ સ્થાને જવા માટે રવાના થયા હતા. મોદી ઓડિશા અને પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે હતા, કોલકાતામાં મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીએ પહોંચ્યા હતા.










