![]()
Ahmedabad News: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી પુનિત સોસાયટીમાં ગઈકાલે મોડી રાત્રે સ્થાનિક રહીશો અને પોલીસ તંત્ર વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. સોસાયટીના પાછળના ભાગે ચાલતા દારૂના ગેરકાયદે અડ્ડા અને બુટલેગરોના ત્રાસથી કંટાળીને રહીશોએ દેખાવો કર્યો હતો. પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી નારાજ થયેલા રહીશો મોટી સંખ્યામાં રાત્રિના સમયે સીધા પોલીસ કમિશનર (CP) કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી જતાં મામલો ગરમાયો હતો.
સ્થાનિક રહીશોના ગંભીર આક્ષેપો
સોસાયટીના રહીશો અને ફરિયાદીના જણાવ્યા અનુસાર, રાણીપ-કાળીગામ રોડ પર આવેલી પુનિત સોસાયટીના પાછળના ગેટ પાસે દારૂનું સ્ટેન્ડ ચાલતું હતું, જેનો સ્થાનિકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. લોકોએ ગઈકાલે બપોરે રાણીપ પોલીસ સ્ટેશનમાં PIને રજૂઆત કરી દારૂનો વેપલો બંધ કરાવ્યો હતો. પરંતુ રહીશોનો આક્ષેપ છે કે, પોલીસની કાર્યવાહીના માત્ર બે જ કલાકમાં બુટલેગરોએ સોસાયટીના બીજા ગેટ પાસે દારૂનું સ્ટેન્ડ ફરી ચાલુ કરી દીધું હતું. આ બાબતની અદાવત રાખીને સાંજે સોસાયટીની મહિલાઓ અને છોકરાઓની છેડતી કરી બુટલેગરોએ ‘બહાર આવો, તમને જોઈ લઈશું’ તેવી ધમકીઓ આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત
કમિશનર કચેરીએ દોડી ગયા રહીશો
રાણીપ પોલીસે છેડતી અંગે યોગ્ય રજૂઆત ન સાંભળતા રહીશોમાં આક્રોશ બેવડાયો હતો અને તેઓ રાત્રે જ મોટી સંખ્યામાં CP ઓફિસ પહોંચ્યા હતા. જ્યાંથી સૂચના મળતાં આખરે રાણીપ પોલીસે આ મામલે FIR નોંધી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
રાણીપ પોલીસની સ્પષ્ટતા
બીજી તરફ, સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનના PIએ સ્થાનિકોના આક્ષેપોને નકારી કાઢતા ઘટનાનું સત્ય અલગ હોવાનું જણાવ્યું હતું. PIના જણાવ્યાનુસાર, વાઈરલ થયેલો વીડિયો બુટલેગરોના ત્રાસનો નથી. હકીકતમાં સોસાયટીમાં રેલવેની હદમાંથી પસાર થવાના રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. એક મદ્રાસી યુવક પૂરઝડપે બાઈક લઈને નીકળતા સ્થાનિકોએ તેને પકડીને માર માર્યો હતો, જેને પગલે પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા તેના સગા-સંબંધીઓ સોસાયટીના લોકો સાથે બાખડ્યા હતા.
છેડતીની વાત તદ્દન ખોટી
પોલીસે સ્પષ્ટ કર્યું કે આ બબાલમાં છેડતીની જે વાતો ફેલાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે. પોતે રાત્રે ૩ વાગ્યા સુધી રૂબરૂ હાજર રહીને છેડતી અંગે ફરિયાદ આપવા કહ્યું હતું, પરંતુ બંને પક્ષોના નિવેદનો જોતાં છેડતી થઈ જ નથી અને કોઈએ ફરિયાદ પણ નોંધાવી નથી.
દારૂના ધંધા અંગે પોલીસે જણાવ્યું કે, રેલવેની સરહદ પર અજીત અજય નામનો શખસ કદાચ દારૂનો ધંધો કરતો હશે અને તે અગાઉની અદાવતનો મુદ્દો રહીશોએ આ બબાલમાં ઉઠાવ્યો છે, બાકી રાત્રે થયેલી ઘટના સાથે તેને કોઈ લેવાદેવા નથી. જો રહીશો બુટલેગર અંગે લેખિત રજૂઆત કરશે અને તે વિસ્તાર અમદાવાદ પોલીસની હદમાં હશે તો સ્થાનિક પોલીસ અને જો રેલવેની હદમાં હશે તો રેલવે પોલીસ દ્વારા ચોક્કસ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.










