અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: જાંગિડ બ્રહ્મસમાજની વાડી ખાતે ભક્તિમય માહોલમાં પ્રથમવાર ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું હતું જેમાં શર્મા પરિવાર, સમાજજનો અને મહેમાનો જોડાયા હતા.
નરોડા સ્થિત જાંગિડ બ્રહ્મસમાજની વાડી ખાતે રામકુમાર અર્જુનલાલ શર્મા તથા દયારામ અર્જુનલાલ શર્મા પરિવાર દ્વારા સમસ્ત ખંડેલવાલ પરિવારના સૌજન્યથી ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પરિવારજનો, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય નિમેષ મહારાજના સાનિધ્યમાં સુંદરકાંડનું ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીની મધુર વાણી અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર કાર્યક્રમ સ્થળ આધ્યાત્મિક માહોલમાં રંગાઈ ગયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી હનુમાનજીની હનુમાન ચાલીસા તથા વિવિધ ભજનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સુંદરકાંડ પાઠ તથા ભજન-કીર્તનમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભવાની સિંહજી શેખાવત, પ્રમુખ, અન્ય ભાષાભાષી સેલ, ભાજપ અમદાવાદ, રાજેન્દ્ર પ્રસાદ જાંગિડ, પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત અખિલ ભારતીય જાંગિડ બ્રાહ્મણ મહાસભા, જયેશભાઇ પ્રજાપતિ, મ્યુનિસિપલ કાઉન્સિલર, નરોડા સહિત સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પરિવાર તરફથી રાજપાલ રામકુમાર શર્મા, સંજય કન્હૈયાલાલ શર્મા, નરેશ રામકુમાર શર્મા અને પંકજ દયારામ શર્મા સહિત પરિવારજનોની ઉપસ્થિતિ રહી હતી.
સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિ, સંસ્કાર અને સામાજિક એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. સુંદરકાંડના પઠન અને ભજન-કીર્તનથી સમગ્ર વાડીમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.










