તા. 10 ઓગસ્ટ, 2026:
કે.વી. વિદ્યામંદીર, વી.ડી. વાઘાણી વિદ્યાસંકુલ (સ્કૂલ & કોલેજ), ગારીયાધાર ખાતે આજે “વિશ્વ સિંહ દિવસ”ની તાલુકાકક્ષાની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ, પ્રેરણાદાયી અને વન્યજીવ સંરક્ષણનો સંદેશ આપતા વાતાવરણમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મામલતદારશ્રી ત્રિવેદી સાહેબ, જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી તખુભાઈ સાંડસુર,વન અધિકારીશ્રી દેવેન્દ્રસિંહ પરમાર, સહિત અધિકારીઓ, તાલુકા કો-ઓર્ડિનેટરશ્રી રવિભાઈ સાંડસુર, CRCશ્રી ભાવેશભાઈ કાસેલ, CRCશ્રી દીપકભાઈ, સંસ્થાના ટ્રસ્ટીશ્રી હિમાંશુભાઈ વાઘાણી તેમજ શાળાના આચાર્યશ્રી કલ્યાણભાઈ સોરઠીયા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ રચનાત્મક અને જનજાગૃતિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનો તથા વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યો દ્વારા સિંહનું પ્રકૃતિ અને પર્યાવરણમાં મહત્વ, સિંહ પ્રત્યે આપણી ફરજો તથા તેના સંરક્ષણ માટે સમાજની જવાબદારી અંગે ઉપયોગી અને પ્રેરણાદાયી માહિતી રજૂ કરી હતી. સાથે જ વિદ્યાર્થી દ્વારા સિંહની ગરિમા અને ગૌરવને ઉજાગર કરતું સુંદર ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતુ. સિંહ દિવસને અનુલક્ષીને એક ચિત્ર સ્પર્ધા કરવામાં આવી જેના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
કે.વી. વિદ્યામંદીર, ગારીયાધાર ખાતે યોજાયેલી વિશ્વ સિંહ દિવસની તાલુકાકક્ષાની ઉજવણી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી અને સિંહ સંરક્ષણના પ્રેરક સંદેશ સાથે સુંદર રીતે સંપન્ન થઈ હતી.







