વર્ષ ૧૯૪૭માં ભારતના વિભાજન સમયે સર્જાયેલી હિંસા અને અરાજકતા વચ્ચે પીડા ભોગવનાર, ઘરબાર છોડીને વિસ્થાપિત થયેલા લાખો લોકોના સંઘર્ષ, વેદના અને બલિદાનની સ્મૃતિમાં સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામરેજના લસકાણા સ્થિત જે.બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ ખાતે જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની સૌહાર્દપૂર્ણ અને ભાવસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, ૧૪મી ઓગસ્ટનો દિવસએ ભારત દેશના ઇતિહાસનો એક અત્યંત કરુણ અધ્યાય છે. ભૂતકાળના આ દર્દનાક ઇતિહાસમાંથી શીખ લઈને આપણે સૌ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દ પ્રત્યે કટિબદ્ધ બનીએ. વિભાજન અને નફરતની માનસિકતાને દૂર ધકેલીને જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવથી ઉપર ઊઠી એક ભારત, શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ કરવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા દીપ પ્રગટાવીને દેશના વિભાજનની કરૂણ ઘટનામાં પોતાના પ્રાણ ગુમાવનારા તથા વિસ્થાપિત બનેલા તમામ પીડિતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

આ અવસરે મહાનુભાવો અને નાગરિકો સહિત શાળા બાળકોએ વિભાજનની ઐતિહાસિક પરિસ્થિતિ અંગેની ટૂંકી ફિલ્મ નિહાળી હતી. ત્યારબાદ વિભાજનની પીડા અને માનવીય સંઘર્ષને રજૂ કરતી નાટ્યપ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી. કેન્ડલ લાઈટ કરી બે મિનિટનું મૌન પાળીને વિભાજનના અમર શહીદો અને પીડિતો પ્રત્યે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
આ સ્મૃતિ સભામાં સુરત શહેરના પ્રાંત અધિકારી (ઉત્તર) નેહાબેન સવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી સુરત શહેર હિંમતભાઈ કાપડી, વિપુલભાઈ સાધુ, પ્રાંત યુવા વિકાસ અધિકારી સુરત ગ્રામ્ય ફાલ્ગુનીબેન ઇન્દુલકર, વિષ્ણુભાઈ ચૌધરી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, વિદ્યાસંકુલના શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







