![]()
Sarna Code Controversy : ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ’ (INC) દ્વારા રજૂ કરાયેલી એક માંગે દેશભરમાં ચર્ચા છેડી દીધી છે. 3 ડિસેમ્બર, 2025 ના રોજ કોંગ્રેસના સત્તાવાર X એકાઉન્ટ પરથી શેર કરાયેલા એક વીડિયો દ્વારા માંગ કરાઈ છે કે વસ્તી ગણતરીમાં આદિવાસીઓને હિન્દુઓથી અલગ એક સ્વતંત્ર ધાર્મિક શ્રેણી ‘સરના’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે. વીડિયોમાં ઝારખંડના કોંગ્રેસ સાંસદ ગોવક પદવી લોકસભામાં આ મુદ્દે ભાષણ કરતા જોવા મળે છે. ભાજપા આદિવાસીઓને હિન્દુ ગણવાનો પક્ષકાર હોવાથી આ બાબતે વિવાદ છેડાઈ ગયો છે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિને આધાર બનાવીને કોંગ્રેસે દલીલ કરી
ઐતિહાસિક રેકર્ડનો હવાલો આપતા સાંસદ ગોવક પદવીએ જણાવ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન 1931માં થયેલી વસ્તી ગણતરીમાં આદિવાસીઓને એક અલગ શ્રેણી તરીકે ગણવામાં આવ્યા હતા. તે સમયે આદિવાસીઓને ‘આદિમ જનજાતિ’ અથવા ‘પ્રાણીવાદી’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા અને તેમની ગણતરી ભારતના અન્ય મુખ્ય ધર્મોની સમકક્ષ એક અલગ શ્રેણી તરીકે કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 1931માં આદિવાસીઓ દેશની કુલ વસ્તીના 22.08% હતા!
કોંગ્રેસે જ પદ્ધતિ બદલી નાખી, હવે કોંગ્રેસ જ વિરોધે ચઢી
સ્વતંત્રતા પછી 1951ની વસ્તી ગણતરી સુધી આદિવાસીઓને ‘આદિમ જનજાતિ’ અથવા ‘પ્રાણીવાદી’ ગણવાની પ્રથા ચાલુ રહી, પરંતુ 1961ની વસ્તી ગણતરીમાં કોંગ્રેસ સરકારે આ પદ્ધતિને બદલી નાખી. સ્વતંત્રતા પછી લાગુ કરવામાં આવેલી ‘રાષ્ટ્રીય એકતા’ નીતિ હેઠળ આદિવાસીઓને હિન્દુ સમાજનો અભિન્ન ભાગ માની લેવામાં આવ્યા. જેને લીધે તમામ સરકારી ફોર્મ, દસ્તાવેજ વગેરેમાં આદિવાસીઓએ પોતાને હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી અથવા મુસ્લિમ જેવા ધર્મ રૂપે દર્શાવવું પડતું. આ પદ્ધતિ અત્યાર સુધી ચાલતી આવી છે, હવે કોંગ્રેસ જ એની વિરુદ્ધ માંગ કરી રહી છે.
આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી ભારત આવશે !
આદિવાસીઓને ‘અન્ય’ ગણીને ‘હિન્દુ’માં ખપાવી દેવાતા હોવાનું કહ્યું
કોંગ્રેસનું કહેવું છે કે વર્તમાન વસ્તી ગણતરી ફોર્મમાં આદિવાસીઓને ‘અન્ય’ કોલમ હેઠળ સમાવીને તેમને બળજબરીપૂર્વક હિન્દુ ધર્મ અથવા અન્ય ધર્મોના ગણી લેવાય છે, જેના કારણે તેમની વિશિષ્ટ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખ ઝાંખી થઈ જાય છે. 2011ની વસ્તી ગણતરીમાં દેશના 49 લાખ આદિવાસીઓએ ધર્મની કોલમમાં ‘સરના’ લખ્યું હતું, પરંતુ તેમને ‘અન્ય’ કોલમમાં મૂકવામાં આવ્યા હતા. કોંગ્રેસની માંગ છે કે હવેથી આદિવાસીઓને ‘સરના’ ધર્મના ગણવા જોઈએ અને એ માટે ‘સરના ધર્મ સંહિતા’ લાગુ કરવી જોઈએ.
સરના ધર્મ સંહિતા શું છે?
‘સરના ધર્મ સંહિતા’ (અથવા ‘સરના કોડ’) ઝારખંડ, ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા આદિવાસી બહુમતી ધરાવતા રાજ્યોમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. સરના એક પ્રાચીન આદિવાસી પરંપરા છે જે પ્રકૃતિ પૂજા પર આધારિત છે. આ પરંપરામાં જંગલો, નદીઓ, પર્વતો અને પ્રાકૃતિક ઘટકોને દેવત્વ સમાન માનવામાં આવે છે. ‘સરના ધર્મ સંહિતા’ વસ્તી ગણતરીમાં આદિવાસી સમુદાય માટે તેમની અનન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા માટે એક અલગ કોલમની માંગ કરે છે, જે 1961 અગાઉ ચલણમાં હતી.
સરના ધર્મ અને હિન્દુ ધર્મ વચ્ચેનો તફાવત
સરના ધર્મની કેટલીક પરંપરાઓ અને પૂજા પ્રથાઓ સનાતન ધર્મ જેવી જ છે, છતાં આદિવાસીઓ પોતાને હિન્દુ કે સનાતનીથી અલગ ગણે છે. તેમની દલીલ છે કે, સરના ધર્મ આદિકાળથી ચાલી આવતો પ્રાચીન ધર્મ છે, જેમાં વિવિધ રૂપે પ્રકૃતિ પૂજા જ કેન્દ્રસ્થાને છે. ‘સરના’નો અર્થ ‘જ્યાં આદિવાસીઓ ભેગા મળીને પૂજા કરે છે એવું પવિત્ર વન્ય ક્ષેત્ર’ એવો થાય છે.
મુદ્દો માત્ર સાંસ્કૃતિક નહીં, રાજકીય છે
આદિવાસીઓ માટે અલગ ધર્મની માંગનો આ મુદ્દો માત્ર સાંસ્કૃતિક ન રહેતા રાજકીય બની ગયો છે. 2024-25ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ગઠબંધને તેમના ચૂંટણી ઢંઢેરામાં સરના ધર્મ સંહિતાનો સમાવેશ કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે સરના ધર્મ સંહિતા લાગુ થાય તો આદિવાસીઓની ધાર્મિક ઓળખ સુરક્ષિત થશે અને તેમની સંસ્કૃતિ લુપ્ત થવાથી બચશે.
ભાજપ રાષ્ટ્રીય એકતાની ચિંતા વ્યક્ત કરે છે
ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને તેના સમર્થકો કોંગ્રેસની માંગને ‘વિભાજનકારી’ ગણાવતા એવી દલીલ કરે છે કે, આદિવાસીઓ હિન્દુ સમાજનો અભિન્ન હિસ્સો છે અને તેમને અલગ ધાર્મિક શ્રેણી તરીકે વર્ગીકૃત કરવાથી દેશની એકતા અને અખંડિતતાને ધક્કો પહોંચશે. ભાજપે કોંગ્રેસ પર બ્રિટિશ સામ્રાજ્યવાદીઓની જેમ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિનું પુનરાવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.
આદિવાસી સમુદાયમાં પણ મતભેદ છે!
ભલે કોંગ્રેસ આદિવાસીઓની અલગ ઓળખને મુદ્દો બનાવીને એમને વિશેષાધિકાર અપાવવાની લડત લડી રહી હોય, પણ નવાઈની વાત એ છે કે, સરના ધર્મ સંહિતાને લઈને આદિવાસી સમુદાયમાં પણ મતભેદ છે. એક વર્ગ અલગ ધર્મ મેળવવાના પક્ષમાં છે, તો કેટલાક આદિવાસી સમૂહો માને છે કે કોંગ્રેસની આ માંગ પાછળ ખ્રિસ્તી મિશનરીઓનો હાથ છે, કેમ કે આદિવાસીઓને હિન્દુ ધર્મથી અલગ ગણી લેવાય તો એમનું ધર્માંતરણ કરવું સરળ બની જાય!
આ પણ વાંચો : ગોવામાં અગ્નિકાંડનો ખૌફનાક VIDEO
મિશનરી માટે ધર્માંતરણની અનુકૂળતા?
નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે સરના સંહિતાની માંગ મિશનરી રણનીતિનો ભાગ છે, જ્યાં ધર્માંતરણને સરળ બનાવવા માટે સાંસ્કૃતિક વિભાજનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ઝારખંડની કુલ વસ્તીમાં ખ્રિસ્તી વસ્તી 4-5% છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તીઓની વસ્તી કુલ આદિવાસીઓના 26% જેટલી છે, અને સતત વધી રહી છે. સરના સંહિતા લાગુ કરવામાં આવશે તો એને અનુસરતા વધુ આદિવાસીઓનું ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બનાવી દેવાની અનુકૂળતા સર્જાશે. આજ કારણસર ભાજપના સમર્થકો આને હિન્દુ એકતાને તોડવાના અને ખ્રિસ્તી પ્રભાવ વધારવાના કાવતરા તરીકે જુએ છે.
ધર્માંતરણ ઘટાડવાની દલીલ
એક વર્ગ સામા છેડાનું મંતવ્ય ધરાવે છે કે, આદિવાસીઓ ધર્માંતરણ એટલા માટે પણ સ્વીકારે છે, કેમ કે એમનો કોઈ ‘ઓફિશિયલ ધર્મ’ નથી. જો એમના ‘સરના ધર્મ’ને માન્યતા મળી તો એમણે અલગ ધાર્મિક ઓળખ માટે ધર્માંતરણ કરવું જ નહીં પડે.
નિષ્ણાતોના મતે ખ્રિસ્તી બની ગયેલા મોટાભાગના આદિવાસીઓ ધર્માંતરણ કર્યા પછી આદિવાસી રિવાજો અને પરંપરાઓનું સન્માન કરતા નથી, અને તેમની ‘મૂળ’ આદિવાસી સંસ્કૃતિ અને સમુદાયથી વિખૂટા પડી જતા હોય છે.
બંધારણીય અને કાનૂની પાસાં શું કહે છે?
• ભારતના બંધારણની કલમ 25થી 28 દેશના નાગરિકને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. જોકે, અનુસૂચિત જનજાતિ (ST) ના લાભ હાલમાં મુખ્યત્વે હિન્દુ, શીખ અને બૌદ્ધ આદિવાસીઓને જ ઉપલબ્ધ છે.
• બંધારણની કલમ 342 હેઠળ ST યાદી આદિવાસી ઓળખ, પરંપરાઓ અને પછાતપણા પર આધારિત છે, ધર્મ પર નહીં. ST ક્વોટા શિક્ષણ, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વમાં 7.5% અનામત પૂરી પાડે છે.
ધર્માંતરણ કરનારાઓનો ST દરજ્જો રદ કરાશે?
• બંધારણને આધારે જોઈએ તો ધર્માંતરણ કરીને આદિવાસીમાંથી ખ્રિસ્તી કે મુસ્લિમ બની જનારા લોકોનો ST દરજ્જો કરી શકાય એમ છે. હાલમાં ધર્માંતરણ કરી ચૂકેલા આદિવાસીઓને ‘ST અનામત’ અને ‘લઘુમતી લાભો’ એમ ‘બેવડા ફાયદા’ મળી રહ્યા છે.
• ડૉ. આંબેડકરે બંધારણમાં જોગવાઈ કરી હતી કે જો કોઈ SC (અનુસૂચિત જાતિ) વ્યક્તિ વિદેશી ધર્મ અપનાવે તો તે પોતાના SC લાભો ગુમાવી દેશે. આ નિયમને આધારે SC માંથી ધર્માંતરણ કરનારાઓનો SC દરજ્જો રદ કરી દેવાતાં તેઓ બેવડા ફાયદાથી વંચિત થઈ જતા હોય છે. જો આ નિયમ ST ને પણ લાગુ કરવામાં આવે તો સરના ધર્મ સંહિતા અનુસરનારાઓનો ST દરજ્જો જોખમમાં આવી શકે છે.
બહુમતી આદિવાસીઓ સરનાના પક્ષમાં નથી!
2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતની કુલ આદિવાસી વસ્તી 10.42 કરોડ હતી, જે દેશની કુલ વસ્તીના 8.6% છે. આમાંથી ઝારખંડમાં 86.45 લાખ આદિવાસીઓ છે, જેમાંના 41 લાખ પોતાને સરના ગણાવે છે. એ જ રીતે, પશ્ચિમ બંગાળમાં 53 લાખ આદિવાસીઓમાંથી 4 લાખ સરના અનુયાયી છે. ઓરિસ્સામાં 96 લાખ આદિવાસીઓમાંથી 4 લાખ, છત્તીસગઢમાં 78 લાખમાંથી ફક્ત 8,000 અને બિહારમાં 13 લાખમાંથી ફક્ત 10,000 લોકો પોતાને સરના ધર્મના ગણાવે છે. આ ડેટા જોતાં સ્પષ્ટ થાય છે કે સરનાની માંગ હજુ પણ બહુમતી માંગ નથી.
સરકારે સાચવીને આગળ વધવું પડશે
કોંગ્રેસની સરના ધર્મ સંહિતા અંગેની માંગ ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય પાસાંઓથી ભરપૂર છે. ભારત જેવા બહુસાંસ્કૃતિક લોકશાહી દેશમાં આવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિચારવિમર્શ, સંવાદ અને સમાજના તમામ વર્ગોની ભાગીદારી જરૂરી છે. આ બાબતે લેવાતો નિર્ણય આદિવાસી સમુદાયોના સાંસ્કૃતિક અને સામાજિક જીવન પર ગંભીર અસર કરી શકે છે. એક તરફ સાંસ્કૃતિક ઓળખનું સંરક્ષણ મહત્ત્વપૂર્ણ છે, તો બીજી તરફ, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સુમેળ જાળવી રાખવા પણ જરૂરી છે. ભારત સરકારને આ બંને હિતો વચ્ચે સંતુલન સાધવાની પડકારરૂપ કામગીરીનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો : …તો નિયમ તોડનાર એરલાઈન્સ થશે મોટો દંડ, જાણો DGCAનો નિયમ










