Planetary Health Diet: આપણી દિનચર્યામાં ખાવું-પીવું એક સામાન્ય પ્રક્રિયા લાગે છે, પરંતુ ખાણીપીણીની આદતોની અસર ફક્ત આપણા શરીર પર જ નહીં, પણ સમગ્ર વિશ્વ પર પડે છે. હાલના જ એક સંશોધન અનુસાર, જો આપણે આહારમાં મૂળભૂત ફેરફાર કરીએ તો દર વર્ષે લાખો લોકોના જીવનનું રક્ષણ થઈ શકે છે અને પર્યાવરણ પર પડતું દબાણ પણ ઘટાડી શકાય. આ ફેરફાર માટેની ચાવી ‘પ્લેનેટરી હેલ્થ ડાયેટ’ તરીકે ઓળખાય છે.
વાનસ્પતિક ખોરાક અપનાવવાની અપીલ
EAT-Lancet કમિશન દ્વારા પ્રસ્તુત એક નવા અહેવાલમાં કહેવાયું છે કે, જો વિશ્વની વસ્તી મુખ્યત્વે વનસ્પતિ આધારિત ખોરાક તરફ ઢળે, તો તેનાથી અકાળ મૃત્યુના આંકડામાં ભારે ઘટાડો થઈ શકે છે. આ સાથે કૃષિ ક્ષેત્રે થતા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં પણ ઘટાડો થઈ શકે. આ અભ્યાસ ચેતવણી પણ આપે છે કે, વિશ્વની ખાદ્ય પદ્ધતિમાં વ્યાપક સુધારા વિના, માત્ર ક્લિન એનર્જી (સ્વચ્છ ઊર્જા) સ્વીકારવાથી ક્લાઈમેટ ચેન્જની વિનાશક અસરોને રોકી નહીં શકાય.
‘પ્લેનેટરી હેલ્થ ડાયેટ’ એટલે કેવો આહાર?
EAT-Lancet કમિશને સૌપ્રથમ 2019માં ‘પ્લેનેટરી હેલ્થ ડાયેટ’નો પ્રસ્તાવ મૂક્યો હતો. આ આહારમાં અનાજ, ફળો, શાકભાજી, કઠોળ અને સૂકા મેવા જેવા વાનસ્પતિક ખોરાક લેવાનો આગ્રહ હોય છે તથા માંસ, ખાંડ અને રિફાઇન્ડ અનાજના સેવનને મર્યાદિત કરવાનું હોય છે, જેથી માનવ આરોગ્ય અને પર્યાવરણ બંનેનું સંતુલન જળવાઈ રહે. આ વર્ષના એના નવીનતમ અહેવાલમાં પ્રાણીજ ઉત્પાદનોના સેવન માટે વધુ સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે. તેમાં એવી પણ સલાહ અપાઈ છે કે, લોકોએ ડેરી પ્રોડક્ટ દિવસમાં ફક્ત એક જ વખત લેવું જોઈએ અને માંસનું સેવન સપ્તાહમાં એક જ વખત કરવું જોઈએ. આ ભલામણ ખાસ કરીને સમૃદ્ધ દેશોના નાગરિકો માટે છે કારણ કે તેઓ વધુ મોટા પ્રમાણમાં માંસાહાર કરે છે.
આરોગ્યને લાભ થશે, રોગોમાંથી પણ મુક્તિ
‘પ્લેનેટરી હેલ્થ ડાયેટ’નો હેતુ ફક્ત પર્યાવરણને લાભ પહોંચાડવા પૂરતો નથી. તેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી ગંભીર બિમારીઓનું જોખમ પણ ઘટે છે. આ અભ્યાસ કહે છે કે, નાના અને વ્યક્તિગત પગલાં પણ લાંબે ગાળે બહુ મોટો ફાયદો કરતા હોય છે. તમે માંસ ખાવાનું સદંતર બંધ ન કરી શકો તો કંઈ નહીં, એનું પ્રમાણ ઘટાડશો તો પણ પૃથ્વીની સેવા થશે. તમારું આરોગ્ય વધુ સારું થશે, એ તો સૌથી મોટો અંગત લાભ.
ખેતી અને પર્યાવરણ પર ખોરાકની અસર
આ અભ્યાસમાં ફક્ત ગ્રીનહાઉસ ગેસ જ નહીં, પણ જૈવવૈવિધ્ય, જમીન વપરાશ, પાણીની ગુણવત્તા અને કૃષિ પ્રદૂષણ જેવા પાસાંનો પણ સમાવેશ કરાયો છે. નિષ્કર્ષ સ્પષ્ટ છે કે, વૈશ્વિક ખાદ્ય પદ્ધતિઓ પૃથ્વીના પર્યાવરણ પર નકારાત્મક અસર કરી રહી છે. ઉદાહરણ તરીકે, માંસાહાર માટે ઉછેરાતી ગાયોને કારણે હવામાં ભળતો મિથેન ગેસ ગ્લોબલ વૉર્મિંગના વધારામાં મોટું પરિબળ છે. ગાય, ભેંસ, બકરાં, ઊંટ જેવા પ્રાણીઓના પાચનતંત્રમાં ખાસ પ્રકારના સૂક્ષ્મજીવ (methanogens) હોય છે, જે ખોરાક પચાવતી વખતે મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. આ વાયુ પછી ઓડકાર અને મળ દ્વારા વાતાવરણમાં ભળે છે.
આહારમાં ફેરફારથી સારા સકારાત્મક પરિણામોની શક્યતા
આ અહેવાલના અંદાજ મુજબ, વિશ્વભરમાં આહારમાં ફેરફાર કરવાથી કૃષિ ઉત્સર્જનમાં 15%નો ઘટાડો થઈ શકે છે. એક સંશોધન મુજબ, જો સમૃદ્ધ દેશના નાગરિકો દર અઠવાડિયે ફક્ત એક જ વાર માંસ આરોગવાનું રાખે તો તેને લીધે વાતાવરણમાં ભળનારા હાનિકારક ગેસના પ્રમાણમાં જે ઘટાડો થશે એ રશિયા દ્વારા થતા કુલ વાર્ષિક ઉત્સર્જન જેટલો હોઈ શકે છે.
ન્યાયી અને ટકાઉ ભવિષ્યની દિશામાં પગલું ભરવું પડશે
આ અહેવાલમાં કહેવાયું છે કે, વિશ્વની ખાદ્ય વ્યવસ્થા અત્યંત અસમાન છે. વિશ્વની લગભગ અડધી વસ્તી પાસે પૂરતો પોષક ખોરાક અને સ્વચ્છ પર્યાવરણ નથી. વંશીય લઘુમતીઓ, મહિલાઓ, બાળકો અને સંઘર્ષગ્રસ્ત ક્ષેત્રોના રહેવાસીઓને વિશેષ જોખમોનો સામનો કરવો પડે છે. EAT-Lancet કમિશનનો અહેવાલ કહે છે કે, જો આપણે ‘પ્લેનેટરી હેલ્થ ડાયેટ’ અપનાવવાનું પગલું આજે ભરશું તો લાંબે ગાળે સમગ્ર માનવજાત અને પૃથ્વીના વાતાવરણને બચાવવામાં સફળ થઈ શકીશું.
EAT-Lancet કમિશનનો હેતુ
‘EAT-Lancet કમિશન ઑન ફૂડ, પ્લેનેટ, હેલ્થ’ 2019માં EAT ફાઉન્ડેશન અને The Lancet દ્વારા શરૂ કરાયું હતું. એ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની વૈશ્વિક પેનલ છે, જે વધતી જતી વિશ્વ વસ્તી માટે આરોગ્યપ્રદ અને ટકાઉ આહાર શું હોઈ શકે તે દિશામાં સંશોધનો કરે છે. આ કમિશને આહારને હવામાન પરિવર્તન, જૈવિક વૈવિધ્યતા અને પ્રાકૃતિક સ્ત્રોતોના ઉપયોગ સાથે જોડ્યો છે અને ખોરાક ઉત્પાદનને પૃથ્વીની ક્ષમતાની મર્યાદામાં રાખવાની અપીલ કરી છે. વૈશ્વિક ખાદ્ય નીતિઓને આકાર આપવાથી આ કમિશનને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. કેટલાક વિવેચકોના મતે તે અતિશય પ્રતિબંધાત્મક છે અને ઓછી આવક ધરાવતા પ્રદેશો, કે જ્યાં સમયસર ઈચ્છિત આહાર પ્રાપ્ત નથી હોતો. તેથી તે વ્યવહારુ નથી.








