![]()
India Updates OCI Rules from April 2026: વિદેશમાં વસતા ભારતીયો માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. ભારત સરકારે OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઑફ ઇન્ડિયા કાર્ડના નિયમોમાં પહેલી એપ્રિલ, 2026થી મોટા ફેરફારો કર્યા છે. સરકારનું કહેવું છે કે આ સુધારાનો હેતુ ડાયસ્પોરા સર્વિસને વધુ આધુનિક બનાવવા, બાયોમેટ્રિક ચકાસણીમાં સુધારો કરવા અને ભારતીય કોન્સ્યુલેટમાં પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો છે. ચાલો જાણીએ ફી માળખા અને પાસપોર્ટ નવીકરણ બાબતે શું બદલાયું છે, નવો ખર્ચ શું છે અને ધ્યાનમાં રાખવા જેવી અન્ય જરૂરી બાબતો કઈ છે.
નવો ખર્ચ કેટલો?
હવે ઓસીઆઈ માટે એક સમાન અને નિશ્ચિત ફી નક્કી કરાઈ છે, જે તમે ભારતમાંથી કે વિદેશમાંથી અરજી કરો છો તેના પર નિર્ભર છે.
– વિદેશમાંથી નવી અરજી: $275 (અથવા સ્થાનિક ચલણ સમકક્ષ)
– ભારતમાંથી નવી અરજી: ₹15,000
– પાસપોર્ટ બદલ્યા બાદ રિ-ઈસ્યૂ કરવા: $25
– કાર્ડ ખોવાઈ કે તૂટી જાય તો ડુપ્લિકેટ ઓસીઆઈ કાર્ડ માટે: $100
– PIO (પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન) કાર્ડમાંથી OCI સ્ટેટસમાં ફેરવવા: $100
આ પણ વાંચો: Explainer: યુએઈએ OPEC સાથે છેડો કેમ છોડ્યો ? મજબૂરી કે પછી ક્રૂડની દુનિયામાં નવો ખેલાડી બનવાની તૈયારી!
મુખ્ય નિયમોમાં શું ફેરફાર કરાયા?
સરકારે પ્રક્રિયાને સરળ બનાવવા અને ડિજિટલ બનાવવા ભાર મૂક્યો છે. નીચે મુજબના 5 મુખ્ય ફેરફાર કરાયા છે.
1. ‘6 મહિનાના ફરજિયાત રોકાણ’ની શરત રદ: પહેલા ભારતમાં રહીને ઓસીઆઈ માટે અરજી કરવા 6 મહિના સુધી અહીં રહેવું પડતું હતું. હવે આ શરત સંપૂર્ણ રદ કરાઈ છે. તમે માન્ય વિઝા સાથે ભારત આવીને તરત જ અરજી કરી શકો છો.
2. પાસપોર્ટ અપડેટ કરવો હવે ફરજિયાત: જો તમને નવો વિદેશી પાસપોર્ટ મળે તો તેની વિગતો 3 મહિનાની અંદર ઓસીઆઈ રેકોર્ડમાં અપડેટ કરવી ફરજિયાત છે. આમ કરવામાં મોડું થાય તો $25નો દંડ ભરવો પડશે.
3. PIO કાર્ડ યોજના પૂર્ણ થઈ: ભારત સરકારે પર્સન ઑફ ઇન્ડિયન ઓરિજિન કાર્ડ યોજના બંધ કરી છે. હવે તમામ PIO કાર્ડ ધારકો આપોઆપ OCI કાર્ડ ધારકો ગણાશે.
4. શ્રીલંકાના તમિલો માટે રાહત: હવે શ્રીલંકામાં રહેતા એવા તમિલો, જેમના પૂર્વજો (5મી અને 6ઠ્ઠી પેઢી સુધીના) ભારતમાંથી ગયા હતા, તેઓ ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરી શકશે. આ પહેલાં તેઓ માત્ર 4 પેઢી સુધી જ પાત્ર હતા, પરંતુ હવે સરકારે આ મર્યાદા હટાવીને તેમના માટેનો માર્ગ સરળ બનાવ્યો છે. નવા નિયમ મુજબ આ કેસોમાં વંશ સાબિત કરવા માટે શ્રીલંકા સરકાર તરફથી મળેલા રેકોર્ડ્સને પણ માન્ય પુરાવા તરીકે સ્વીકારાશે.
5. સંશોધન અને ફેલોશિપ સરળ: વિદેશી વ્યાવસાયિકો માટે ભારતમાં સંશોધન કાર્યક્રમોમાં ભાગ લેવાનું હવે ઘણું સરળ બન્યું છે કારણ કે, સરકારે અગાઉની 6 મહિનાના રોકાણની ફરજિયાત શરતને સંપૂર્ણપણે હટાવી દીધી છે. વિશ્વભરના ભારતીય મૂળના વિદ્વાનો, પ્રોફેસરો અને નિષ્ણાતો હવે ભારતમાં લાંબા સમય સુધી રહ્યા વિના અહીંના ફેલોશિપ અને સંશોધન પ્રોજેક્ટ્સમાં જોડાઈ શકે છે, જેનાથી જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન મળશે.
OCI માટે પાસપોર્ટ અને વિઝા સંબંધિત નિયમો
– પાસપોર્ટની માન્યતા: અરજી સબમિટ કરતી વખતે પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય હોવો જોઈએ.
– વિઝાની માન્યતા: ઓછામાં ઓછો ત્રણ મહિનાનો માન્ય વિઝા હોવો જરૂરી છે.
લગ્ન આધારિત અરજીઓ માટેના નિયમો
– લગ્નની નોંધણી થયેલી હોવી જોઈએ.
– અરજી કરતા પહેલાં લગ્ન ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ટકેલા (subsisted) હોવા જોઈએ.
OCI માટે કયા વિઝાધારકો અરજી નહીં કરી શકે?
– પ્રવાસી વિઝા (Tourist Visa)
– મિશનરી વિઝા (Missionary Visa)
– પર્વતારોહણ વિઝા (Mountaineering Visa)
– ઈ-વિઝા (E-visa)
એરપોર્ટ અને મુસાફરી પર શું અસર થશે?
નવા નિયમોમાં એરપોર્ટ અને મુસાફરી બાબતે નીચે મુજબના નિયમો લાગુ કરાયા છે.
– બાયોમેટ્રિક સિસ્ટમ સાથે જોડાણ: ઓસીઆઈ રેકોર્ડ હવે બાયોમેટ્રિક સિસ્ટમ સાથે જોડાયેલા છે. આથી એરપોર્ટ પર e-gate પ્રોસેસિંગ ઝડપી બનશે.
– ડિજિટલ ઈ-આગમન કાર્ડ ફરજિયાત: ભારતની મુસાફરી કરતા પહેલા ડિજિટલ ઈ-આગમન કાર્ડ લેવું હવે ફરજિયાત છે.
– જૂના રેકોર્ડ પર પ્રશ્નો થઈ શકે: ઇમિગ્રેશન અધિકારીઓ એરપોર્ટ પર જૂના અથવા અધૂરા ઓસીઆઈ રેકોર્ડ ધરાવતા લોકોને પૂછપરછ માટે રોકી શકે છે. તેથી તમારી વિગતો અપડેટ રાખો.










