![]()
રીબડાના ચર્ચાસ્પદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હસ્તાક્ષર નિષ્ણાંતે શું અભિપ્રાય આપ્યો તે બાબતે પોલીસે ખુલાસો કરવાનું ટાળ્યું : ચોથા પાનામાં અક્ષર મેચ નહીં થતા હોવાની ચર્ચા
રાજકોટ, : રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હસ્તાક્ષર નિષ્ણાંતનો મહત્વનો ગણાતો અભિપ્રાય તપાસ કરતી ગોંડલ તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરી દીધો છે. હસ્તાક્ષર નિષ્ણાંતે શું અભિપ્રાય આપ્યો છે તે બાબતે પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ એટલું જરૂર કહ્યું છે કે આજની તારીખે આ કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ અને જૂનાગઢનો રહીમ મકરાણી આરોપી તરીકે છે.
રીબડાના અમિત ખૂંટ વિરૂધ્ધ ગઈ તા. 3 મેના રોજ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમાં તરૂણીએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેના બે દિવસ બાદ ગઈ તા. 5 મેના રોજ અમિત ખૂંટે રીબડામાં આવેલી વાડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહે હનિટ્રેપમાં ફસાવતાં આ પગલું ભર્યાનું લખ્યું હતું, જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી રાજકોટમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી, તેની બહેનપણીની ધરપકડ કરી હતી. ત્યાર પછી મદદગારીમાં રાજકોટના એડવોકેટ સંજય પંડિત અને ગોંડલના દિનેશ પાતરની પણ ધરપકડ કરી હતી. પોલીસે અમિત ખૂંટની સ્યુસાઈડ નોટમાં તેના જ અક્ષર છે કે કેમ તેની ખરાઈ માટે તેને એફએસએલમાં હસ્તાક્ષર નિષ્ણાંત પાસે મોકલી હતી.
હવે તેનો અભિપ્રાય આવી જતાં તેને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે. તે સાથે જ સ્યુસાઈડ નોટના ચોથા પાનાના અક્ષર મેચ નહીં થતાં હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે પરંતુ પોલીસે આ બાબતે કાંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. તે પહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ પણ સ્યુસાઈડ નોટ પાછળથી ઉભી કરી, તેમાં પોતાનું અને પુત્રનું નામ જોડી દેવાયાનો આક્ષેપ કરી સ્યુસાઈડ નોટ સામે સવાલ ઉઠાવ્યા હતા.
રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે ‘હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય પોલીસે કોર્ટમાં રજૂ કરી દીધો છે, જેમાં શું છે તે બાબત પોલીસ જણાવી નહીં શકે. ફરિયાદી કે આરોપી પક્ષના લોકો કોર્ટમાં અરજી કરી આ રિપોર્ટ મેળવી શકે છે. આ કેસમાં આજની તારીખે અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ અને રહીમ મકરાણી આરોપી તરીકે છે. આ ત્રણેયની પોલીસ શોધખોળ કરી રહી છે.’ આના પરથી સ્પષ્ટ થયું છે કે હસ્તાક્ષર નિષ્ણાંતે જે પણ અભિપ્રાય આપ્યો હોય પરંતુ તેનો કોઈ લાભ આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને હાલના તબક્કે મળવા જઈ રહ્યો નથી. બીજી તરફ અનિરૂદ્ધસિંહ જાડેજાએ હાઈકોર્ટના આદેશથી પોતાનો પાસપોર્ટ ગોંડલ તાલુકા પોલીસમાં જમા કરાવી દીધો છે










