![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બે જ સ્લેબ રાખવાની જાહેરાત કરનાર ભારત સરકાર આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી પડે તે માટે સિમેન્ટ, સ્ટીલ, ઓટોમોબાઈલ્સ અને કન્ઝયુમર ડયૂરેબલ્સ જેવી વસ્તુઓ પરના જીએસટીના દર પણ ઘટાડે તેવી સંભાવના છે. પરિણામે સ્ટીલ, ઓટોમોબાઈલ, અને કન્ઝયુમર ડયૂરેબલના સેક્ટરની કંપનીઓને ખાસ્સો ફાયદો થવાની શક્યતા છે. કન્ઝયુમર ડયૂરેબલ્સમાં વૉશિંગ મશીન, ઓવન, એરકન્ડિશનર સહિતના વ્હાઈટ ગુડ્સને કન્ઝયુમર ડયૂરેબલ્સ ગણવામાં આવે છે. પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી દીધેલી છે. જોકે સરકાર પાસે ચારમાંથી બે સ્લેબ કર્યા પછી ટેક્સમાં ઘટાડો કરવાનો અવકાશ ઓછો હોવા છતાંય જીએસટીના સ્લેબ રિસ્ટ્રક્ચરિંગ પછી ફાયદો થવાની ઉદ્યોગોને આશા છે.
ચારમાંથી બે સ્લેબ કર્યા પછી જીએસટીમાં ઘટાડો કરવાનો અવકાશ ઓછોઃરિસ્ટ્રક્ચરિંગ પછી ફાયદો થવાનો આશાવાદ
કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ચારને બદલે બે જ સ્લેબ કરી દેવાની ઇચ્છા ધરાવે છે. અત્યારે શૂન્ય, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્લેબ છે. તેથી સ્ટીલ, સિમેન્ટ, વ્હાઈટ ગુડ્સ કે કન્ઝયુમર ડયૂરેબલ સેક્ટરના વેચાણો વધી જતા તેમની આવક વધશે. તેમ જ તેમના નફો પણ વધુ થશે. બીજીતરફ ઉપરોક્ત સેક્ટરોની આવકની સાથે તેમના નફામાં પણ વધશે. ટેક્સનો બોજ ઘટતા ઉત્પાદનોનું વેચાણ વધી જવાની શક્યતા રહેલી છે. કારણ કે પ્રોડક્ટ્સની કિંમતમાં પણ તેને કારણે ઘટાડો થશે. સેક્ટરના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરનારાઓને પણ મધ્યમથી લાંબા ગાળામાં તેનો ફાયદો મળવાની શક્યતાને નકારી શકાતી નથી.
જીએસટીના દરમાં ઘટાડો થાય તો તેની અસર સીધી કન્ઝયુમરના વપરાશ પર પડશે. ચીજવસ્તુઓ સસ્તી થતાં તેની ખરીદી વધી જવાની સંભાવના છે. ખરીદી વધશે તો જે તે સેક્ટર અને તેના ઔદ્યોગિક એકમોને વેચાણ વધતા આવક વધશે. તેમ જ તેમના નફામાં વધારો પણ થશે. સિમેન્ટ પર અત્યારે ૨૮ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. આ જીએસટીનો દર ૨૮ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જવાની શક્યતા રહેલી છે. સ્ટીલ અને સ્ટીલમાંથી બનાવવામાં આવતા ઉત્પાદનો પરનો જીએસટી ઘટતા તેનો વપરાશ વધી જશે. સ્ટીલનો ઉપયોગ ઘર બનાવવા માટે, માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે કરવામાં આવે છે.
કન્ઝયુમર ડયૂરેબલ્સમાં રસોડામાં વપરાતા ઓવન, મિક્સર સહિતના દરેક ઉપકરણો, એરકન્ડિશનર્સ અને વૉશિંગ મશીન પરના જીએસટીના દરમાં ઘટાડો થઈ જશે. ઓટોમોબાઈલમાં તેના પૂરજાઓ પરના જીએસટીના દરમાં ઘટાડો થશે. તેથી ઓટોમોબાઈલના પૂરજાઓની ડિમાન્ડમાં વધારો થઈ જશે. સેનેટરીવેર પરના જીએસટીના દરમાં પણ ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અત્યારે તેના પર ૧૮ ટકા જીએસટી લેવામાં આવે છે. આ જીએસટીમાં ઘટાડો થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેના પરના જીએસટીમાં ઘટાડો થાય તો મધ્યમ વર્ગના લોકો માટે સારા ઘર બનાવી શકાશે. મધ્યમ વર્ગના લોકોને સસ્તાં ઘર મળી શકશે.










