GST Reforms: GSTમાં જાહેર કરાયેલા સુધારા 22 સપ્ટેમ્બરથી અમલી બનશે. સામાન્ય પ્રજાએ હવે માત્ર 5 ટકા અને 18 ટકા જ સ્લેબ ચૂકવવો પડશે. જેમાં લકઝરી પ્રોડક્ટ્સ માટે વધારાનો 40 ટકાનો સ્લેબ પણ ઉમેરવામાં આવ્યો છે. જીએસટીમાં આ ઐતિહાસિક સુધારાથી કેન્દ્ર સરકારને રૂ. 48 હજાર કરોડની ખોટ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પરંતુ અત્યારસુધી કોઈએ આ અંગે સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી કે, દેશના અર્થતંત્રને કેટલું નુકસાન થશે અને કેટલો લાભ…
શનિવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, જીએસટીમાં સુધારાથી દેશના અર્થતંત્રને મોટો લાભ થવા જઈ રહ્યો છે. જીએસટીમાં સુધારો લાગુ થતાં કેન્દ્ર સરકારની તિજોરીને રૂ. 20 લાખ કરોડની કમાણી થશે.
ટ્રમ્પના ટેરિફ સાથે કોઈ લેવાદેવા નહીં
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 2025-26ના બજેટમાં આવકવેરામાં રાહત આપવાની સાથે જીએસટીના દરોને સુસંગત બનાવવામાં આવ્યા છે. જીએસટીમાં સુધારાને અમેરિકાના ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. જીએસટીમાં સુધારાની તૈયારી લગભગ દોઢ વર્ષ પહેલાં શરૂ થઈ ચૂકી હતી. જે વડાપ્રધાન મોદીના સુધારા, પ્રદર્શન અને પરિવર્તનના સ્પષ્ટ લક્ષ્યનો એક ભાગ હતો. નવી જીએસટી વ્યવસ્થા દેશની પરિવર્તન યાત્રાની શરૂઆતનું પ્રતીક બનશે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને આ સુધારા સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચોઃ ફૂડ ડિલિવરી ચાર્જ પર હવે 18% GST લાગશે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે?
અર્થતંત્રને થશે 20 લાખ કરોડનો ફાયદો
સૌથી મોટો સવાલ એ છે કે, અંતે આ નેક્સ્ટ જનરેશન જીએસટીથી દેશના અર્થતંત્રને કેટલો ફાયદો થશે. આ અંગે માહિતી આપતાં વૈષ્ણવે જણાવ્યું કે, દેશનું અર્થતંત્ર વપરાશ પર આધારિત છે. દેશના જીડીપીમાં વપરાશનો હિસ્સો 61 ટકાથી વધુ છે. જીએસટીમાં સુધારાથી વપરાશમાં વધારો થશે, જેથી દેશના અર્થતંત્રને વેગ મળશે. આજે આપણો જીડીપી આશરે 330 લાખ કરોડનો છે. જેમાં 202 લાખ કરોડની કમાણી વપરાશ મારફત થાય છે. જો વપરાશમાં 10 ટકા પણ વૃદ્ધિ થશે, તો જીડીપીમાં રૂ. 20 લાખ કરોડનો વધારો થશે.











