![]()
Mallikarjun Kharge On PM Modi Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે (21 ડિસેમ્બર) આસામમાં ઘૂસણખોરી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને કોંગ્રેસ પાર્ટી પર સત્તામાં રહીને આસામ અને ઉત્તરપૂર્વ રાજ્યોની અપેક્ષા કરવા સહિત વિસ્તારની સુરક્ષા અને ઓળખના ભોગે ઘૂસણખોરોને રક્ષણ આપવાનો આરોપ મૂક્યો હતો.
વડાપ્રધાનના વિપક્ષ પરના નિવેદન પર ખડગની પ્રતિક્રિયા
આ મામલે ખડગેએ કહ્યું કે, ‘ભાજપ કેન્દ્ર અને આસામમાં સત્તામાં છે. તેઓને વિપક્ષને દોષ આપવાને બદલે પોતાની નિષ્ફળતાઓની જવાબદારી લેવી જોઈએ. આસામ એક કહેવાતી ડબલ-એન્જિન સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જો વડાપ્રધાન સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહે છે, તો તેઓ વિરોધ પક્ષોને કેવી રીતે દોષી ગણી શકે? શું અમે ત્યાં શાસન કરી રહ્યા છીએ?’
તેઓ દેશદ્રોહી છે, આપણે નહીં: ખડગે
તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે પણ તેમની સરકારી નિષ્ફળ જાય છે, ત્યારે વિપક્ષને દોષ આપવાની મોદીએ આદત બનાવી દીધી છે. હું આવા નિવેદનોની નિંદા કરું છું. તેઓ દેશદ્રોહી છે, અમે નહીં. અમે કોઈનો બચાવ નથી કરી રહ્યા. દેશના હિતમાં જે કંઈ છે તે સારું છે, પરંતુ અમે આતંકવાદીઓ, ઘુસણખોરો અથવા અન્ય લોકોને ટેકો આપીશું નહીં.’
પીએમ મોદીએ આસામમાં રેલી દરમિયાન કોંગ્રેસ પર આરોપ લગાવ્યો
શનિવારે (20 ડિસેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટી એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પાર્ટીની ટીકા કરતા તેમના પર આસામ અને ઉત્તરપૂર્વની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન
કોંગ્રેસ જ ગેરકાયદે ઘૂસણખોરોને બચાવી રહી છે : PM મોદી
વડાપ્રધાન મોદીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે, ‘કોંગ્રેસ હજુ પણ દેશવિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપી રહી છે અને વોટબેંકના સ્વાર્થ માટે આસામની જમીન પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવવા માંગે છે. કોંગ્રેસ જ ગેરકાયદે ઘૂસણખોરોને બચાવી રહી છે અને તેથી જ વોટર લિસ્ટના શુદ્ધિકરણનો વિરોધ કરી રહી છે.’










