![]()
મુંબઈ : ઓકટોબરમાં રિટેલ ફુગાવો નોંધપાત્ર ઘટીને આવતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) આવતી કાલે રેપો રેટમાં ૦.૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડો કરી ૫.૨૫ ટકા પર લઈ આવશેતેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
ખાદ્ય પદાર્થોના નીચા ભાવ અને ઉપભોગ માલસામાન પરના ગુડસ એન્ડ સર્વિસીઝ ટેક (જીએસટી)માં ઘટાડાને પરિણામે ફુગાવો ઓકટોબરમાં વિક્રમી નીચી સપાટીએ જોવા મળ્યો હતો. ઓકટોબરનો રિટેલ ફુગાવો ૦.૨૫ ટકા રહ્યો હતો.
નીચા ફુગાવાની સ્થિતિમાં માગ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક શુક્રવારે રેપો રેટમાં પા ટકા જેટલો ઘટાડો કરશે તેવી શકયતા હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ રેપો રેટ ઘટાડવાનો અવકાશ હોવાના તાજેતરમાં સંકેત આપ્યા હતા.
વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં રેપો રેટમાં એક ટકો ઘટાડો કર્યા બાદ ઓગસ્ટથી તે સ્થિર જાળવી રખાયો છે.
૩ ડિસેમ્બરથી શરૂ થયેલી એમપીસીની બેઠક આવતી કાલે સમાપ્ત થશે. આ બેઠકમાં દેશમાં રવી પાકની પ્રગતિનો અંદાજ ઉપરાંત અગાઉ રેપો રેટમાં કરોલા ઘટાડાના પરિણામોનો પણ કયાસ મેળવાશે.
આરબીઆઈ ૫.૨૫ ટકાનો રેપો રેટ આગામી એક વર્ષ સુધી જાળવી રાખશે તેવો અન્ય એક બેન્કરે મત વ્યકત કર્યો હતો.દેશના જીડીપીમાં મજબૂતાઈ છતાં બજારના વર્તુળો રેપો રેટમાં પા ટકા ઘટાડો થવાની ધારણાં રાખી રહ્યા છે. જીએસટીમાં કપાત તથા આવક વેરામાં અપાયેલી રાહત બાદ દેશમાં માગમાં વધારો કરવાના હેતુ સાથે રિઝર્વ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે હજુ સ્પષ્ટતા જોવા મળી નથી ત્યારે ઊંચા ટેરિફની સ્થિતિમાં દેશના નિકાસકારોને ટેકો પૂરો પાડવાનું પણ મહત્વનું બની રહે છે.










