![]()
Gir Somnath Crime News: રાજ્યમાં શિક્ષણ જગતને હચમચાવી દેતી એક દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ અને તણાવને કારણે એક શિક્ષકે આજે (21 નવેમ્બર) ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો છે.
સ્યુસાઈડ નોટમાં કામગીરીના ભારણનો ઉલ્લેખ
પ્રાપ્ત વિગતો અનુસાર અરવિંદભાઈ વાઢેર 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા. હાલમાં શિક્ષકોને BLO (બુથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવને લીધે તેમણે આ પગલું ભર્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું
શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો
આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલની સ્થિતિ એવી છે કે, ‘સરની કામગીરીના કારણે બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદારો મતદારયાદીમાં નામ શોધે છે.’SIRની કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા હોવાથી શાળાઓ સુમસામ ભાસી રહી છે અને શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે.’
3 દિવસમાં બીજા શિક્ષકનું મોત
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું.
શિક્ષક સંઘમાં રોષ આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘે આક્ષેપ કર્યો છે કે BLOની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. શિક્ષકોને ભણાવવાને બદલે અન્ય કામગીરીમાં જોતરી દેવાતા આવા ગંભીર પરિણામો આવી રહ્યા હોવાનું સંઘનું કહેવું છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ તંત્ર પર કર્યા આકરા પ્રહાર
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં SIR ની કામગીરીમાં પ્રજાને પડતી મુશ્કેલીઓ અને આગામી ચૂંટણી માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
SIR ની કામગીરીથી પ્રજા પરેશાન પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી SIR ની કામગીરીમાં સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ગંભીરતાથી લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા લેવલે આગેવાનોની ખાસ નિમણૂક કરવામાં આવી છે, જેથી લોકોની મુશ્કેલીઓને વાચા આપી શકાય અને તંત્ર સુધી પહોંચાડી શકાય.
મતદાર યાદી અને BLO ની કામગીરી અંગે ચિંતા કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સાચી અને વાસ્તવિક મતદાર યાદી તૈયાર કરવી એ ચૂંટણી પંચની પ્રાથમિક જવાબદારી છે. તેમણે કલેક્ટરને અપીલ કરી હતી કે BLO (બૂથ લેવલ ઓફિસર) પાસે કામગીરી કરાવતી વખતે ધ્યાન રાખવામાં આવે કે તેમની નોકરી જોખમમાં ન મુકાય અને તેઓ નિષ્પક્ષ રીતે કામ કરી શકે.
ભાજપ ઉતાવળે યાદી તૈયાર કરી રહ્યું છે: ઈન્દ્રનીલ રાજ્યગુરુ
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ‘ભાજપ દ્વારા મતદાર યાદી ખૂબ જ ઉતાવળે તૈયાર કરવામાં આવી રહી છે, કારણ કે તેમાં ગેરરીતિ કરવાની ગણતરી હોઈ શકે છે. મતચોરી કરાવીને ચૂંટણી જીતવી એ લોકશાહી માટે મોટું જોખમ બની ગયું છે.’
કોંગ્રેસ ઘરે-ઘરે જઈને તપાસ કરશે
તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, આખરી મતદાર યાદી બહાર પડ્યા બાદ મળતા એક મહિનાના સમયગાળામાં કોંગ્રેસના કાર્યકરો ઘરે-ઘરે જઈને તપાસ કરશે. જેમાં કોના નામ રહી ગયા છે અને કેટલા ખોટા નામો ઉમેરાયા છે તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. અંતમાં કોંગ્રેસે કલેક્ટર અને તંત્રને તાકીદ કરી છે કે મતદાર યાદીમાં કોઈપણ પ્રકારનું ખોટું ન થાય અને એક પણ સાચો મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવે.










