![]()
Vantara Foundation Day: ગુજરાતના જામનગરથી એક મહત્ત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. વનતારાએ તેના સ્થાપના દિવસે તેની સિદ્ધિઓની એક વર્ષની ઝાંખી રજૂ કરી. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન હજારો બીમાર અને ઘાયલ વન્યજીવોની સારવાર કરવામાં આવી હતી અને તેમને સ્વસ્થ બનાવવામાં આવ્યા હતા, અને ઘણા પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં પરત છોડવામાં આવ્યા હતા.
‘વનતારા’ એ આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’ એ આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. જામનગરના મોટી ખાવડી પાસે કાર્યરત આ સંસ્થાએ માત્ર એક જ વર્ષમાં વન્યજીવ બચાવ, અત્યાધુનિક તબીબી સારવાર અને વિજ્ઞાન આધારિત સંરક્ષણમાં અભૂતપૂર્વ પ્રભાવ પાડ્યો છે. વનતારા ફાઉન્ડેશન ડે નિમિત્તે સંસ્થાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, આ એક વર્ષમાં હિંસક પશુઓ, સરીસૃપો, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ સહિત હજારો બચાવેલા વન્યજીવોને પુનઃ સ્વાસ્થ્ય પ્રદાન કરી તેમને કુદરતી રહેઠાણમાં પરત મોકલવામાં આવ્યા છે.
વનતારાએ વન્યજીવ સેવા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નામના મેળવી
અનંત અંબાણીના નેતૃત્વ હેઠળ વનતારાએ વન્યજીવ સેવા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. આ વર્ષ દરમિયાન અનંત અંબાણીને તેમના અસાધારણ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ હ્યુમન એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત વનતારાને EARAZA અને SEAZA જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સભ્યપદ તેમજ ‘પ્રાણી મિત્ર એવોર્ડ 2025’ પણ પ્રાપ્ત થયો છે. સંસ્થાએ માત્ર પ્રાણીઓની સારવાર જ નથી કરી, પરંતુ સેંકડો પશુચિકિત્સકોને તાલીમ આપી છે અને 50 થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય જ્ઞાન-વહેંચણી કાર્યક્રમો યોજીને નવી પેઢીને સંરક્ષણ માટે પ્રેરિત કરી છે.
વનતારા ખાતે અત્યારે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં 250 થી વધુ એવા હાથીઓની સંભાળ રાખવામાં આવી રહી છે જેમને લાકડા કાપવાના કામ, સર્કસ કે ભીખ માંગવા જેવી કપરી પરિસ્થિતિઓમાંથી છોડાવવામાં આવ્યા છે. આ હાથીઓ માટે વિશેષ ફિઝિયોથેરાપી અને આહારની વ્યવસ્થા છે. આ સાથે જ હજારો મગરમચ્છો અને અન્ય જીવો માટે અહીં કુદરતી વાતાવરણ ઊભું કરાયું છે. વનતારાને ‘નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ’ (વેસ્ટ ઝોન) તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ 2000 થી વધુ ડાયગ્નોસ્ટિક નમૂનાઓનું પરીક્ષણ કરતી અત્યાધુનિક પ્રયોગશાળાઓ કાર્યરત છે.
પ્રાણીઓના પોષણ અને સુરક્ષા માટે પણ વનતારાએ અદભૂત મોડેલ તૈયાર કર્યું છે. અહીં દરરોજ 1.56 લાખ કિલો ઉચ્ચ ગુણવત્તાયુક્ત આહાર તૈયાર થાય છે, જેમાં 1000 થી વધુ સ્થાનિક ખેડૂતોનો સહયોગ લેવામાં આવે છે. સંસ્થા પાસે 200 સભ્યોની રાઉન્ડ-ધ-ક્લોક રિસ્પોન્સ ટીમ છે, જેણે 50 થી વધુ આંતરરાષ્ટ્રીય બચાવ કામગીરીમાં સફળતા મેળવી છે. ગુજરાત વન વિભાગના સહયોગથી બરડા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીમાં 53 ટપકાવાળા હરણોને મુક્ત કરવા અને ઈન્ડોનેશિયામાં કાચબાને રીવાઈલ્ડ કરવા જેવા કાર્યો વનતારાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કુદરતી આફતો સમયે પણ વનતારા અગ્રેસર રહ્યું છે. પંજાબમાં આવેલા વિનાશક પૂર દરમિયાન સંસ્થાએ માનવીય અને પશુ સહાય પૂરી પાડી હતી, જે અંતર્ગત 10 લાખથી વધુ લોકોને મદદ પહોંચાડવામાં આવી હતી. આમ, એક વર્ષના ટૂંકા ગાળામાં વનતારા માત્ર એક પ્રાણી સંગ્રહાલય કે આશ્રયસ્થાન મટીને એક સંપૂર્ણ વૈજ્ઞાનિક અને કરુણાપૂર્ણ સંરક્ષણ ઇકોસિસ્ટમ બની ગયું છે, જે વન્યજીવોના અસ્તિત્વ માટે નવી આશા જગાવી રહ્યું છે.










