![]()
Barren Island Volcano :ભારતનો એકમાત્ર એક્ટિવ જ્વાળામુખી બેરેન આઇલેન્ડ ફરી એકવાર સક્રિય થઈ ગયો છે. આંદામાન અને નિકોબાર ટાપુઓનો ભાગ બેરેન આઇલેન્ડ પર આઠ દિવસમાં બે વાર જ્વાળામુખી ફાટ્યો છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં સોમવારે જણાવ્યું હતું કે, અચાનક 13 અને 20 સપ્ટેમ્બરના રોજ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. જોકે, આ વિસ્ફોટ સામાન્ય હતો. જ્વાળામુખીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંદરથી લાવા નીકળતો જોવા મળી રહ્યો છે.
વીડિયો ભારતીય નૌકાદળના અધિકારીઓ દ્વારા શેર કર્યો
આ પેહલા સંસદ ટીવીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તાજેતરમાં જ્વાળામુખીના વિસ્ફોટનો આ વીડિયો ભારતીય નૌકાદળના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ વીડિયો નૌકાદળના યુદ્ધ જહાજમાંથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં જ્વાળામુખીમાંથી લાવા અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે.
આ પણ વાંચો: ‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ
બેરેન આઇલેન્ડનો કુલ વિસ્તાર 8.34 ચોરસ કિલોમીટર
નોંધનીય છે કે, બેરેન આઇલેન્ડ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દક્ષિણ એશિયામાં એકમાત્ર એક્ટિવ જ્વાળામુખી છે. આ જ્વાળામુખી આંદામાન અને નિકોબાર ટાપુઓના પૂર્વ ભાગમાં આવેલો છે, જે પોર્ટ બ્લેરથી દરિયાઈ માર્ગથી લગભગ 140 કિલોમીટર દૂર છે. બેરેન આઇલેન્ડનો કુલ વિસ્તાર 8.34 ચોરસ કિલોમીટર છે. આ ટાપુને નિર્જન જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં વિશ્વમાં આશરે 46 જ્વાળામુખી એક્ટિવ છે. આંદામાન અને નિકોબાર વહીવટીતંત્રના આંકડા પ્રમાણે બેરેન ટાપુ પર પહેલો વિસ્ફોટ 1787 માં થયો હતો. ત્યારબાદ 1991, 2005, 2017 અને 2022 માં નાના વિસ્ફોટો થયા હતા.










