![]()
માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
શાળાએ મૂકવા જવા અડાલજ વિદ્યાર્થીને લેવા જતા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક અંબાપુર અડાલજ માર્ગ ઉપર ગઈકાલે સવારના
સમયે આગળ જતી રિક્ષાને કારે પાછળથી ટક્કર મારતા રીક્ષા ચાલક યુવાનને ગંભીર ઇજાઓ
પહોંચી હતી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે ઘટના
અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે શહેર નજીક અંબાપુરથી અડાલજ તરફ જવાના માર્ગ ઉપર
ગઈકાલે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાનનું મોત થયું છે. જે ઘટના
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અંબાપુર ગામમાં જોગણી માતાના પરું
ખાતે રહેતા બળદેવજી જયંતીજી ઠાકોર પેસેન્જર અને સ્કૂલ વર્ધી રીક્ષા ચલાવીને
પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ સવારના સમયે અડાલજ ખાતે એક વિદ્યાર્થીને
તેમની રિક્ષામાં લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અંબાપુરથી અડાલજ તરફ જવાના
માર્ગ ઉપર પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમની રિક્ષાને હડફેટે લીધી હતી
અને જેના કારણે તે રિક્ષા નીચે દબાઈ ગયા હતા. જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના
લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ
હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે અકસ્માત અંગે તેમણે તેમના ભાઈને જાણ પણ કરી હતી
અને તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સારવાર દરમિયાન બળદેવજીનું મોત
થયું હતું. જોકે તેમણે મોબાઇલમાં અકસ્માત કરનાર કારનો ફોટો પાડયો હોવાથી તેના
આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.










