![]()
– મારી કંપનીઓનું બજાર મૂલ્ય અઢી લાખ કરોડ
– કોચી ટસ્કરમાં સુનંદા પુષ્કરના 25 ટકા હિસ્સાને અયોગ્ય રીતે મંજૂર કરાવવા સોનિયા ગાંધી, એહમદ પટેલ, પ્રણવદાનું દબાણ
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના જન્મદાતા લલિત મોદી ભારતમાં ઘણા બધા કાયદાકીય કેસોમાં ફસાયેલા છે. તેમણે તાજેતરમાં જ ફરીથી તેમના પરના કૌભાંડ પરના આક્ષેપો ફગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું પોતે જન્મ્યો ત્યારથી જ કરોડપતિ હતો. આજે પણ અઠવાડિયામાં ૧૦થી ૧૨ કરોડ રૂપિયા ખર્ચી કાઢુ છે અને મારી કંપનીઓનું બજારમૂલ્ય અઢી લાખ કરોડ છે. પછી મારે કૌભાંડ કરવાની જ ક્યાં જરૂર છે.
લલિત મોદીએ જણાવ્યું હતું કે મેં કશું ખોટું કર્યું જ નથી. હું સોનાચાંદીની થાળીમાં ખાનારો માણસ છું અને તમે મારા પર કેટલાક કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરો છો તે વાત જ હાસ્યાસ્પદ છે. તમે મારા પર જેટલી રકમના કૌભાંડનો આરોપ મૂકો છો તેટલી રકમ તો હું એક દિવસમાં કમાઉં છું. મારી કંપની વિશ્વમાં સૌથી મોટી છે. તેની માર્કેટ વેલ્યુ અઢી લાખ કરોડ છે. મારી કમાણીનો સ્ત્રોત મારો ફેમિલી બિઝનેસ અને અન્ય કારોબારો છે. હું તેનો હિસ્સો છું, હું તેનો માલિક છું. મારો કારોબાર મેં આજે મારા સંતાનોને સોંપી દીધો છે. આજે તેઓ તેના માલિક છે. હું અત્યારે શાનદાર જીવન જીવી રહ્યો છું.
તેણે જણાવ્યું હતું કે ૧૦-૧૨ કરોડ રૂપિયામાં તો મારે અઠવાડિયું માંડ પૂરુ થાય. હું કોઈના માટે મારી જીવનશૈલી કેમ બદલું. લલિત મોદીને જ્યારે તેમના મિત્ર અને ભાગેડુ વિજય માલ્યા અંગે સવાલ કરવામાં આવ્યા તો તેમણે જણાવ્યું હતું કે તેની વાત જુદી છે. મને ખબર નથી કે તેની તકલીફ શું છે, પરંતુ તેનો કેસ બેન્કો સાથે જોડાયો છું. મેં કોઈની પાસેથી પણ કાણી કોડી લીધી નથી. મારો રૂપિયો કોઈના પર ઉધાર નથી. મેં ફક્ત ચૂકવણી જ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૦માં કોચી ટસ્કર્સની કેરલ ફ્રેન્ચાઇઝીના વિવાદને લઈને તે સમયની યુપીએ સરકાર અને કોંગ્રેસ નેતૃત્વનો તેમણે સામનો કરવો પડયો હતો. તેમણે જણાવ્યું હતું કે સુનંદા પુષ્કર સાથે જોડાયેલી એક અયોગ્ય ઇક્વિટી સમજૂતી અને ટીમની શંકાસ્પદ સંરચના પર મેં સવાલ ઉઠાવ્યા હતા. તેના કારણે મારા પર ભારે રાજકીય દબાણ આવ્યું હતું. આ વાત તો ત્યાં સુધી હતી કે તે સમયે વિદેશ પ્રધાન શશી થરૂરે તો મારા ઘરે દરોડા પાડવાની ધમકી આપી હતી. સોનિયા ગાંધી, એહમદ પટેલ અને પ્રણવ મુખરજી જેવા લોકો થરૂરના સમર્થનમાં મારી સામે પડયા હતા. મારા પર એહમદ પટેલ અને પ્રણવ મુખરજીના ફોન આવતા હતા, જ્યારે બધા સાથે મારો વ્યવહાર મિત્રવત હતો. રાજીવ શુક્લા પણ મારી જોડે આવતા હતા.
તેમણે જણાવ્યું હતું કે કોચી ટસ્કર દ્વારા ૩૫ કરોડ ડોલરમાં બોલી લગાવીને અધિકાર જીતવામાં આવ્યા પછી ચિંતા સર્જાઈ. તેમણે દાવો કર્યો હતો કે કોન્સોર્ટિયમની નાણાકીય સંરચના પર સવાલ ઉઠયો હતો કેમકે કેમકે બધા શેરધારક પૂરી રકમ ખર્ચી રહ્યા હતા તો એક શેરધારક એકપણ રૂપિયો ચૂકવ્યા વગર સૌથી હિસ્સો મેળવી રહ્યા હતા. આ એક શેરધારક હતા સુનંદા પુષ્કર. આશ્ચર્યની વાત એ હતી કે ૭૫ ટકા શેરધારક પૂરી રકમની ચૂકવણી કરી રહ્યા હતા, જ્યારે ૨૫ ટકા જેટલો સૌથી વધુ હિસ્સો મેળવનારનો ફાળો રૂપિયો પણ ન હતો. ફ્રેન્ચાઇઝી મળતા સુનંદા પુષ્કરની હિસ્સેદારનું મૂલ્ય ઝડપથી વધ્યું હતું. ટીમ મળતાં જ તેની ૧૦ રૂપિયાની હિસ્સેદારનું મૂલ્ય એક લાખ થઈ ગયુ હતુ.
આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો હતો કે દાઉદ ઇબ્રાઇમ આઇપીએલ પર અંકુશ મેળવવા માંગતો હતો, જેના કોઈ પ્રયત્નને તેમણે સફળ થવા દીધો ન હતો. આઇપીએલને વિશ્વની સૌથી મોટી લીગ બનાવવાની કિંમત તેમણે પોતાની સુરક્ષાથી ચૂકવવી પડી. તેમણે સટોડિયાઓ અને ફિક્સિંગ સાથે જોડાયેલા નેટવર્ક સામે આકરો અભિગમ અપનાવ્યો હતો. તેના કારણે તે અંડરવર્લ્ડના નિશાન પર આવ્યા હતા. દાઉદના કારણે તેમણે ક્રિકેટનું વહીવટીતંત્ર છોડવું પડયુ હતુ.










