![]()
FIR Against Anant Singh: બિહારમાં છોટે સરકાર તરીકે જાણીતા અને મોકામાના પૂર્વ ધારાસભ્ય, તેમજ જેડીયુ (JDU)ના ઉમેદવાર અનંત સિંહની મુશ્કેલીઓ વધી છે. મોકામા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર અનંત સિંહની દુલારચંદ યાદવની હત્યાના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં દાખલ કરાયેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે અનંત સિંહે દુલારચંદ યાદવને ગોળી મારી હતી અને ત્યારબાદ ત્યાં હાજર તેના સમર્થકોએ દુલારચંદ યાદવ પર કાર ચઢાવી દીધી હતી.
FIRમાં શું દાવો કરવામાં આવ્યો?
મૃતક દુલારચંદ યાદવના પૌત્ર નીરજ કુમાર દ્વારા દાખલ કરાયેલી FIRમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ઘટના 30મી ઓક્ટોબરના રોજ બની હતી. દુલારચંદ અને તેમના સાથીઓ મોકામાના બસવન ચોક પાસે જન સૂરજ પાર્ટીના ઉમેદવાર પ્રિયદર્શી પીયૂષના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન અનંત સિંહ પોતાના સમર્થકો સાથે વાહનોમાં આવ્યા અને દુલારચંદ યાદવ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. જ્યારે દુલારચંદ યાદવે વિરોધ કર્યો, ત્યારે રાજવીર સિંહ અને કરમવીર સિંહ (બંને નદવાન ગામના રહેવાસીઓ)એ તેને બળજબરીથી વાહનમાંથી બહાર કાઢ્યા.
FIR મુજબ, ત્યારબાદ અનંત સિંહે પોતાના કમરબંધમાંથી પિસ્તોલ કાઢીને દુલારચંદને ગોળી મારી, જે તેમના ડાબા પગમાં વાગી હતી. દુલારચંદ જમીન પર પડતાં જ છોટન સિંહ અને સંજય સિંહે તેના પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. અંતે અનંત સિંહના સમર્થકોએ દુલારચંદ યાદવ પર કાર ચઢાવી દીધી હતી. પોલીસે આ કેસમાં આઇપીસીની કલમ 103 (હત્યા) અને 3(5) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં 80થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો: સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- ‘જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ’
મૃતકનો પણ ગુનાહિત ઇતિહાસ
પટણાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મૃતક દુલારચંદ યાદવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ 31મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે મૃતક દુલારચંદ યાદવનો પણ ગુનાહિત ઇતિહાસ હતો અને તેના પર હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.










