![]()
Ahmedabad News: લ્યો બોલો… હવે શેરી શ્વાનોને પણ પાલતુ શ્વાનની જેમ ગળે પટ્ટા બાંધી દેવામાં આવ્યા છે. મુક્ત વિહરતા જંગલના સિંહોની જેમ જેતે દિવસે આ પટ્ટાના ઓળખ નંબરની જગ્યાએ કોલર ટ્રેકર લાગી શકે છે. માણસોના યુનિક આઈડી, આધાર નંબર, પાન નંબર અને ઈલેક્શન નંબર જેવી અનેક નોંધણી અને નંબરોની પળોજણ હવે શેરીમાં રખડતા શ્વાનોને પણ લાગુ પડતી જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં શેરી શ્વાનોને ચોક્કસ નંબર અને વિસ્તાર સહિતના પટ્ટા પહેરાવવામાં આવી રહ્યા છે. ખરેખર, આ અભિનંદનીય કામ છે. મૂંગા પશુઓની સુરક્ષા અને ઓળખ માટે તંત્ર આટલું વિચારી પૈસા ખર્ચે છે.
રખડતા શ્વાનનો કરાશે સરવે
અમદાવાદમાં જાન્યુઆરી-2026થી શહેરના તમામ 48 વોર્ડમાં રખડતા શ્વાનને લઈને સરવે કરવામાં આવશે. એક અંદાજ મુજબ શહેરમાં 1.50 લાખથી વધુ રખડતા શ્વાન છે. છ મહિનામાં આ રખડતા શ્વાનના સરવેની કામગીરી પુરી કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા 48 વોર્ડના વિવિધ વિસ્તારમાં રખડતા શ્વાનના સરવે માટે વિવિધ એજન્સીઓ પાસેથી ઓફર મંગાવાઈ છે.
29 ડિસેમ્બર-2025 સુધીમાં સરવેની કામગીરી કરવા ઈચ્છતી એજન્સીએ બીડ સબમિશન કરવાનું રહેશે. ત્યાર બાદ ટેક્નિકલ અને ફાયનાન્શિયલ ઈવેલ્યુએશન કરવામા આવશે. જે એજન્સીને રખડતા શ્વાનના સરવેની કામગીરી સોંપાશે તેણે સ્ટરીલાઇઝ કરેલા અને સ્ટરીલાઇઝ નહીં કરેલા નર અને માદા રખડતા શ્વાનની સાથે બીમાર રખડતા શ્વાનનો પણ સરવેમાં સમાવેશ કરવાનો રહેશે.










