![]()
વડોદરા, તા.28 વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મૂળ વતની પરંતુ કેનેડામાં સ્થાયી થયેલા લાકડાના એનઆરઆઇ વેપારીએ લાકડાનો મોટો જથ્થો મુદ્રા પોર્ટ પર મોકલ્યા બાદ તેના પૈસા નહી ચૂકવતા અમદાવાદની સો મિલના વેપારીઓ સામે રૃા.૬.૧૮ કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કેનેડાના ટોરન્ટોમાં રહેતા સૃહદકુમાર ચન્દ્રકાંત પટેલે અમદાવાદની જય જલારામ સો મિલના ભાગીદારો અરજણ કરશનભાઇ પટેલ સહિત અન્ય સાત સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારુ મૂળ વતન ડભોઇ તાલુકાનું મંડાળા ગામ છે પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી કેનેડામાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરુ છું અને સાથે લાકડાનો વેપાર કરું છું. મારી પાસે કેનેડાની સિટિઝનશીપ છે.
મારા મિત્રો તેમજ ભાગીદારોએ મને જણાવેલ કે આપણા કેનેડાના મિત્ર નીરવ પરાગ પટેલના અમદાવાદમાં રહેતા પિતા અન્ય સાથે ભાગીદારીમાં જય જલારામ સો મિલ ધરાવે છે અને તેઓ લાકડા મંગાવી વેપાર કરે છે તો આપણે ભારતમાં તેમને લાકડા મોકલીએ તેમ કહેતા અમોએ લાકડા ભારતમાં એક્ષ્પોર્ટ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ અમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ લાકડા ભરેલા ૧૪૪ કન્ટેનરો ગુજરાતના મુદ્રા પોર્ટ પર મોકલ્યા હતાં. આ માલનું પેમેન્ટ ૬૦ દિવસમાં ચૂકવી દેવું તેવી શરત હતી.
લાકડાનું કન્સાઇનમેન્ટ મળ્યા બાદ જય જલારામ સો મિલ દ્વારા ૮ કન્ટેનરોના રૃા.૧.૦૬ કરોડ અમોને મળ્યા હતાં પરંતુ બાકીની રકમ રૃા.૬.૧૮ કરોડ ચૂકવવાની બાકી હતી. આ રકમની ચૂકવણી અરજણભાઇ પટેલ તેમજ અન્ય ભાગીદારો કરતા નહી હોવાથી મારા મિત્રો મિતુલ ભટ્ટ અને કમલેશ પટેલને કેનેડાથી ભારત મોકલી ડભોઇ ખાતે અમદાવાદની સો મિલના ભાગીદારો સાથે મીટિંગ કરતા ૨૦ દિવસના પૈસાની ચૂકવણી કરવાનો વાયદો કર્યો હતો પરંતુ આ રકમ પણ નહી ચૂકવતા આખરે આ અંગે વડોદરા જિલ્લા પોલીસમાં અરજી આપી હતી. જેના આધારે ફરિયાદ નોંધાઇ છે. ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામો
– અરજણભાઇ કરશનભાઇ પટેલ
– શંકરભાઇ કરશનભાઇ પટેલ
– બાબુભાઇ કરશનભાઇ પટેલ
– ચેતન બાબુભાઇ પટેલ
– અલ્પેશ બાબુભાઇ પટેલ
(ઉપરોકત તમામ રહે.જશોદાનગર ચાર રસ્તા, અમદાવાદ)
– નીરવ પરાગભાઇ પટેલ
– પરાગ બાબુભાઇ પટેલ
(ઉપરોક્ત બંને રહે.નમન એપાર્ટમેન્ટ, સેટેલાઇટ, અમદાવાદ)










