![]()
Ahmedabad Crime: અમદાવાદના આરોગ્ય ભવન ખાતે જન્મ-મરણ વિભાગમાં નકલી કોર્ટ ઓર્ડર રજૂ કરવા મામલે પોલીસ દ્વારા એક પ્રેક્ટિસિંગ વકીલની ધરપકડ કરવામાં આવી છે. આ વકીલે કથિત રીતે 50,000 રૂપિયાના બદલામાં પોતાના કોમ્પ્યુટર પર એક બનાવટી કોર્ટ ઓર્ડર તૈયાર કર્યો હતો, જેનો ઉપયોગ કેસના મુખ્ય આરોપીના માતાનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે થવાનો હતો. તપાસમાં આરોપીની ઓળખ મોહમ્મદ ઇરફાન ઇકબાલમિયા કાઝી (Mohammad Irfan Iqbalmiya Qazi) તરીકે થઈ છે, જે વર્ષ 2006થી વકીલાત કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારા-આગચંપી બાદ 60 લોકો રાઉન્ડ અપ
નકલી સીલ અને સહીથી અધિકારીઓને શંકા
પોલીસે જણાવ્યું કે, આ બનાવટી કોર્ટ ઓર્ડરમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના સીલ અને સહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, જન્મ-મરણ વિભાગના અધિકારીઓને આ દસ્તાવેજ પર શંકા ગઈ હતી. તેમણે મેટ્રો કોર્ટમાં ક્રોસ-વેરિફિકેશન કરાવ્યું, જેમાં પુષ્ટિ થઈ કે આવો કોઈ આદેશ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.
ગાયકવાડ હવેલી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘નકલી દસ્તાવેજ અસલ કોર્ટ ઓર્ડર જેવો જ લાગતો હતો, પરંતુ કોર્ટના રૅકોર્ડ્સની ચકાસણીમાં તે નકલી હોવાનું બહાર આવ્યું.’
આ પણ વાંચોઃ જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ચોરી કરવાના ઇરાદે આવેલા શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ પકડ્યો
વકીલની ધરપકડ
પોલીસને બાતમી મળ્યા બાદ 24 સપ્ટેમ્બરે વકીલ કાઝીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે, શું આરોપી વકીલે ભૂતકાળમાં પણ આ પ્રકારના ગુના કર્યા હતા કે કેમ અને મુખ્ય આરોપી તેમજ તેમના સાથીદારોની શોધખોળ ચાલી રહી છે.










