![]()
Student Harassment Case In Ahmedabad: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી અને શિક્ષણ જગતમાં મોટું નામ ધરાવતી શેઠ સી.એન. વિદ્યાવિહાર સંસ્થાના કેમ્પસમાં આવેલી PTC કોલેજમાં એક શરમજનક ઘટના સામે આવી છે. કોલેજના એક સિનિયર અધ્યાપક પર વિદ્યાર્થિનીની છેડતી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ મેનેજમેન્ટ દ્વારા અધ્યાપકને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન બની ઘટના
મળતી માહિતી અનુસાર, આ ઘટના ગત 20મી તારીખે બની હતી. વિદ્યાર્થિનીએ કરેલી લેખિત ફરિયાદ મુજબ, તે દિવસે કોલેજમાં પ્રીલિમ પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા દરમિયાન સંબંધિત અધ્યાપકે વિદ્યાર્થિનીનો હાથ પકડ્યો હતો અને તેમની દાનત ખરાબ હતી. આ ઘટનાથી ડરી ગયેલી વિદ્યાર્થિનીએ તે દિવસે કોઈને જાણ કરી ન હતી.
ઇન્સ્પેક્શન દરમિયાન ખૂલ્યો મામલો
આ ઘટનાના ચાર દિવસ બાદ, એટલે કે 24મી તારીખે, ડાયેટ (District Institute of Education and Training)ના અધિકારીઓ કોલેજમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન મહિલા પ્રોફેસરે જ્યારે વિદ્યાર્થીઓને તેમની કોઈ સમસ્યા કે ફરિયાદ હોય તો જણાવવા કહ્યું, ત્યારે પીડિત વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને અધ્યાપક દ્વારા કરાયેલી છેડતીની વાત કરી હતી.
આ પણ વાંચો: ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ
મેનેજમેન્ટની કડક કાર્યવાહી
આ ઘટના બાદ, સંસ્થા દ્વારા વિદ્યાર્થિનીના માતા-પિતા સાથે વાત કરવામાં આવી હતી. 27મી માર્ચે વિદ્યાર્થિની અને તેના માતા-પિતા કોલેજ કેમ્પસમાં આવ્યા હતા અને વિદ્યાર્થિનીએ લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતા જ કોલેજ મેનેજમેન્ટ દ્વારા આરોપી અધ્યાપકને તરત જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે સી.એન. વિદ્યાવિહારના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. વૈશાલી શાહે જણાવ્યું હતું કે, ‘અમારી સંસ્થા 100 વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે અને ક્યારેય આવી ફરિયાદ સામે આવી નથી. આ સંસ્થામાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. અમને ફરિયાદ મળી છે અને અમે તાકીદે અધ્યાપકને સસ્પેન્ડ કર્યા છે.’
તપાસ માટે વિશાખા સમિતિ રચાઈ
નિયમ મુજબ, કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે સંસ્થાની ‘વિશાખા સમિતિ’ ને આ કેસની તપાસ સોંપી દેવામાં આવી છે. આ સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે અને તેના અહેવાલના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સંસ્થા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.
કોલેજની વ્યવસ્થા અને ઇતિહાસ
નોંધનીય છે કે સી.એન. કેમ્પસની આ PTC (ડીએલએડ) કોલેજ ગ્રાન્ટેડ છે. અગાઉ અહીં માત્ર છોકરાઓને જ શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ ત્રણ વર્ષ પહેલા જ અહીં કો-એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેડતીની ફરિયાદ કરનાર વિદ્યાર્થિની અમદાવાદ જિલ્લાના એક ગામની છે અને કોલેજની હોસ્ટેલમાં રહે છે. જે અધ્યાપક સામે ફરિયાદ થઈ છે તેઓ 20 વર્ષ કરતા વધુ સમયથી આ કોલેજમાં ફરજ બજાવી રહ્યા છે.









