Ahmedabad Food Alert: અમદાવાદના શહેરીજનોના પેટમાં બેરોકટોક હાનિકારક પદાર્થ ઠાલવાઈ રહ્યો હોય તેમ એક મહિનામાં ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ, મસાલા, આઈસક્રિમ સહિતના ખાદ્ય પદાર્થોના 28 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે.
12 દિવસમાં 202 લોકોને 5.16 લાખ રૂપિયાનો દંડ
આ સિવાય પાણીપુરીના પાણીના 7 નમૂનામાં ફૂડ ગ્રેડ કલર મળ્યો છે. જોકે છેલ્લા 12 દિવસમાં તંત્રએ 599 ખાદ્ય એકમોની તપાસ કરીને 202 લોકોને નોટિસ આપી બિન આરોગ્યપ્રદ ખોરાક વેચવા બદલ 5.16 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલના ફૂડ વિભાગે જ જાહેર કરેલા આંકડા અનુસાર મે મહિના દરમિયાન કુલ 862 નમૂના લેવાયા હતા. જે પૈકી બળેલું તેલ, પાણીપુરીનું પાણી, ગાયનું ઘી, રગડો, હળદર, સોયા મસ્તી, માખણ, મિલ્કશેક, મરચા પાવડર, મન્ચુરિયન, જ્યુસ વગેરે જેવા ખાદ્ય પદાર્થોના જુદા જુદા એકમોમાંથી લેવામાં આવેલા 28 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે.
પરિણામે 7 કિસ્સામાં કોર્ટમાં, જ્યારે 21 સામે એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 12 દિવસમાં કુલ 290 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 6 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.

27 રેસ્ટોરન્ટ મિલ્કના બદલે એનાલોગ પનીર વાપરતા પકડાયા
અમદાવાદ શહેરમાં ત્રણ માસ દરમિયાન 27 રેસ્ટોરન્ટ મિલ્ક પનીરના બદલે એનાલોગ પનીરનો ઉપયોગ કરતા પકડાયા છે. જેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. એનાલોગ પનીરનો ગેરકાયદે ઉપયોગ કરતા હોટેલ-રેસ્ટોરન્ટને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.









