![]()
Cricketer Death In Ahmedabad: અમદાવાદ શહેરના અમદુપુરા વિસ્તારમાં એક અત્યંત ભાવુક અને અનોખી ઘટના જોવા મળી છે. અહીં રહેતા અને સ્થાનિક સ્તરે ક્રિકેટ રમતા રોહિત નામના યુવકનું બીમારીના કારણે નિધન થયું હતુ. રોહિતને ક્રિકેટ પ્રત્યે ભારે લગાવ હતો, જેને ધ્યાનમાં રાખીને તેના પરિવારજનો અને મિત્રો દ્વારા તેની અંતિમ યાત્રા વિશેષ રીતે કાઢવામાં આવી હતી. રોહિતની અંતિમ યાત્રામાં તેના પાર્થિવ દેહ સાથે ક્રિકેટનું બેટ અને બોલ પણ રાખવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી.
મિત્રોના જણાવ્યાનુસાર, રોહિત ક્રિકેટનો શાનદાર ખેલાડી હતો અને તે એક ખૂબ જ સારો બોલર પણ હતો. મેદાન પર તેની બોલિંગની પ્રતિભા હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. ક્રિકેટ પ્રત્યેના તેના આ જ સમર્પણ અને પ્રેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે જ તેની યાદમાં બેટ અને બોલ સાથે આ અંતિમ યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અનોખી અને ભાવનાત્મક વિદાય દ્વારા વિસ્તારના લોકોએ પોતાના આ સ્થાનિક રમતવીરને ભારે હૈયે અંતિમ સલામી આપી હતી.










