![]()
Ahmedabad News: શહેરના જાણીતા પ્રવાસન સ્થળ કાંકરિયા તળાવમાંથી શુક્રવારે એક 50 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કાંકરિયા તળાવના આધુનિકીકરણ (રિડેવલપમેન્ટ) પછી અહીં આત્મહત્યાનો આ કદાચ પહેલો જ કિસ્સો હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. મણિનગર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઓઢવના મહિલાએ કર્યો આપઘાત
કાંકરિયા તળાવમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ ઓઢવ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રસીલાબેન પંચાલ તરીકે થઈ છે. તળાવના પાણીમાં એક લાશ તરતી જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા એક નાગરિકે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ કરી હતી. મહિલાએ તળાવમાં ઝંપલાવતા પહેલા પોતાનો મોબાઈલ ફોન લેકફ્રન્ટની પાળી (પેરાપેટ) નજીક મૂકી દીધો હતો. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં ઘરેલું વિવાદ અથવા કંકાસના કારણે આ પગલું ભર્યું હોવાની શંકા છે.
આ પણ વાંચો : અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ
હું જાઉં છું, હવે પાછી નહીં આવું’ કહી ફોન બંધ કર્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રસીલાબેને તળાવમાં કૂદકો મારતા પહેલા તેમના પતિને છેલ્લો ફોન કર્યો હતો. તેમણે ફોન પર પોતાના પતિને કહ્યું કે, “હું જાઉં છું, મને શોધતા નહીં. હું ક્યારેય પાછી નહીં આવું.” આટલું કહીને તેમણે તરત જ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.
ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો
ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે તળાવના પાણીમાંથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. હાલમાં મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા આ આત્મહત્યા પાછળના વાસ્તવિક કારણો શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.








