![]()
– ધોળકા જીઆઈડીસી પાસે મોડી રાતની ઘટના
– 4 પૈકી બે ગાયો ગર્ભવતી, ઈજાગ્રસ્ત વાછરડાંને પાંજરાપોળ ખસેડાયું : રખડતા ઢોરની સમસ્યા નિવારવા માંગ
બગોદરા : અમદાવાદ-ધોળકા-ખેડા હાઇવે પર ફરી એકવાર રખડતા પશુઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે. ધોળકા જીઆઈડીસી નજીક મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ચાર ગાયોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વાછરડું ગંભીર ઈજાગ્રસ્ત થયું હતું. મૃત્યુ પામેલી ચાર પૈકી બે ગાયો ગર્ભવતી હતી.
?ધોળકા જીઆઈડીસી પાસે ચાર ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. જવાબદાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ત્યારે અકસ્માત બાદ પશુઓના મૃતદેહો હાઇવે પર જ પડયા રહેતા અન્ય વાહન ચાલકો માટે પણ અકસ્માતનો ભય ઊભો થયો હતો. આ ઘટનાથી ફરી એકવાર હાઇવે પર રખડતા પશુઓની ગંભીર સમસ્યાની ચાડી ખાય છે. સ્થાનિક લોકોએ રખડતા પશુઓની સમસ્યાનું નિરાકરણ લાવવા અને મૃત ગાયો કોઈ માલિકની હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
બનાવની જાણ થતા પાલિકા દ્વારા મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત વાછરડાંને સારવાર આપી ધોળકા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યું હતું.










