![]()
Ahmedabad News: અમદાવાદના સાણંદમાં એક 24 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. મૂળ વિજયનગરના આદિવાસી પરિવારની યુવતીએ પ્રેમ લગ્નના બે વર્ષ બાદ અચાનક ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ ઘટના અંગે મૃતક યુવતીના પિતાએ પતિ સામે માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, વિજયનગરના ચામઠણ ગામના અરવિંદભાઈએ આ ઘટના અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તેમની 24 વર્ષીય પુત્રી બે વર્ષ પહેલાં દિલીપ ચાવડા સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને સાણંદમાં એક કંપનીના કેમ્પસમાં સાથે રહેતા હતા. પ્રેમ લગ્ન પછી યુવતી બેવાર તેમના પિતાને ત્યાં ગઈ હતી. જેમાં બીજીવાર યુવતી પિયર ગઈ હતી, ત્યારે તેના પિતાને જણાવ્યું હતું કે, પતિ દિલીપ માનસિક ત્રાસ આપે છે.
આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો
આ પછી ગત 24મી ફેબ્રુઆરીએ દિલીપે ફોન કરીને યુવતીના પરિવારને જાણ કરી હતી કે તેની દીકરીએ ગળેફાંસો ખાઈ લીધો છે અને તેનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. આ પછી મૃતક યુવતીના પિતાએ તેમની દીકરીને તેના પતિ દ્વારા દબાણમાં રાખીને સતત ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબૂર કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.









