![]()
Nilgai Creates Chaos in Amreli: અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામમાં હડકવા ઉપડેલી એક નીલગાયે ભયજનક સ્થિતિ સર્જી હતી. ઉશ્કેરાયેલી હાલતમાં નીલગાયે ગામમાં અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચાવી બે વ્યક્તિઓ પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યાં હતા.
ગામમાં અફરાતફરીનો માહોલ
મળતી માહિતી અનુસાર, નીલગાયના હુમલાનો ભોગ બનેલા લોકોમાં રવજી બાબરિયા અને ભાનુબેન ગોસાઈનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત રવજીભાઈએ જણાવ્યું હતુ કે, ‘હું ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી નીલગાયે અચાનક હુમલો કર્યો હતો.’ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્ત કરી ચિંતા
ગામમાં ભયનો માહોલ અને અફરાતફરી
નીલગાય રસ્તા પર આવતા-જતાં લોકો પાછળ દોડતી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ભયના માર્યા અનેક ગ્રામજનોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા અને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી.
વનવિભાગનું રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની ગંભીરતા જોતા લીલિયા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વનવિભાગે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લોકોને પ્રાણીથી દૂર રાખ્યા હતા. ત્યારબાદ ભારે જહેમત અને સતર્કતા બાદ હડકવા ઉપડેલી નીલગાયને પાંજરે પૂરવામાં આવી હતી અને તેને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.










